Ahmedabad News: વડોદરાના હરણી તળાવમાં બનેલી દુર્ઘટના બાદ હવે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. એક વર્ષથી વિના લાયસન્સ ત્રણ સ્પોટ ઉપર બોટીંગ ચાલતુ હતું. તેમ છતાં મ્યુનિસિપલ તંત્ર તરફથી કોઈ કાર્યવાહી કરાઈ ન હતી. આ સમગ્ર વાત મ્યુનિ.બોર્ડ બેઠકમાં વિપક્ષે આક્ષેપ કરતા તંત્ર અને શાસકપક્ષે મૌન ધારણ કરી લીધું હતું. નોંધનીય છે કે થોડા મહિના અગાઉ સાબરમતીમાં બોટીંગ સમયે એક મહિલા ડુબતા બચી જતા તેમણે ઘટના મામલે ટ્વિટ કરી રાજ્યના મુખ્યમંત્રીનું ધ્યાન દોર્યુ હતું.
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વડોદરામાં બનેલી દુર્ઘટના બાદ બોટીંગ પ્રવૃત્તિ બંધ કરાવી દેવામાં આવી છે. આ મુદ્દે મ્યુનિ.બોર્ડ બેઠકમાં વિપક્ષનેતા શહેજાદખાન પઠાણે આક્ષેપ કરતા કહ્યુ કે, સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડની બેદરકારીના કારણે જ એક વર્ષથી ફાયર વિભાગ ઉપરાંત પોલીસ, આર.એન્ડ બી.વિભાગ સહિત અન્ય ઓથોરિટીના લાયસન્સ નહીં હોવા છતાં વલ્લભસદન ઉપરાંત ઉસ્માનપુરા અને એન.આઈ.ડી.એમ ત્રણ સ્થળે બોટિંગની વ્યવસ્થા કરવામા આવી હતી.
વલ્લભસદન અને ઉસ્માનપુરા ખાતે એક જ કોન્ટ્રાકટરને બોટીંગ માટેનો કોન્ટ્રાકટ આપવામા આવેલો છે. એન.આઈ.ડી.ની પાછળના ભાગમા નવ મહિનાથી કાયાકીંગ બોટીંગ શરુ કરવામાં આવેલું છે. જ્યારે એક સ્પોટ પર એટલાન્ટિક નામના કોન્ટ્રાક્ટરને બોટીંગનો કોન્ટ્રાક્ટ અપાયો છે.
સાબરમતી રિવરફ્રન્ટ તંત્ર હરણી તળાવની દુર્ઘટના બાદ ઉંઘતુ ઝડપાઈ જતા કોન્ટ્રાકટરોને ફાયર, પોલીસ સહિતના લાયસન્સ રજુ કરવા આદેશ કર્યો છે. આ બાબત મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટીતંત્ર અને શાસકપક્ષ બંને માટે ખુબ ગંભીર અને શરમજનક છે.
તો હવે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ચાલતી બોટમાં કોઈ અણબનાવ બને તો તેનો જવાબદાર કોણ હશે, કારણ કે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનું લાઈસન્સ કે બોટ ચલાવવાની અન્ય પરવાનગી આપવામાં આવી નથી. છતાં પણ એક વર્ષથી લાયસન્સ વિના જ સાબરમતીમાં બોટીંગ ચાલતું હતું.