દર વખતની જેમ અને દર પાર્ટીની જેમ આ વખતે પણ ચૂંટણી ટિકિટને લઈ નેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈ આ વખતે ભાજપમાં આંતરિક નારાજગી વધારે પ્રમાણમાં જ જોવા મળી રહી છે. અસંતોષના માહોલ વચ્ચે હવે અમિત શાહે નવી જ વાત કરી છે. વિગતો મુજબ જાહેર કરાયેલ 166 બેઠકમાંથી 40થી વધુ બેઠકો પર વિરોધનો સુર રેલાયો છે. હવે તેને રોકવા માટે ગૃહમંત્રી અમિત શાહે ખુદ પોતાના હાથમાં આગેવાની લીધી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ ભાજપમાં કેટલીક બેઠકો પર બળવો થયો હતો. ટિકિટ કાપવાને કારણે ઘણા વર્તમાન ધારાસભ્યો અને તેમના સમર્થકો નારાજ હોવાનું કહેવાય છે. વધી રહેલા વિરોધ વચ્ચે શાહ રવિવારે ગાંધીનગર પહોંચ્યા હતા.
વિગતો મળી રહી છે કે વિધાનસભા ચૂંટણીની રણનીતિ ઘડવા માટે અમિત શાહ આગામી ત્રણ દિવસ ગુજરાતમાં રહેશે. શાહે અસંતુષ્ટ નેતાઓના કારણે થતા નુકસાન અને ડેમેજ કંટ્રોલ કરવાની વ્યૂહરચના પર કામ કરવાનું પણ શરૂ કરી દીધું છે. ભાજપના વરિષ્ઠ સાંસદે જણાવ્યું હતું કે, રવિવારે સાંજે અમિત શાહે રાજ્ય ભાજપ કાર્યાલય કમલમ ખાતે ચાર કલાકની બેઠક કરી હતી. આ બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને ચાર ઝોનના મહાસચિવોએ પણ હાજરી આપી હતી.
સંપૂર્ણ બેઠક દરમિયાન તેમણે એક પછી એક નારાજગી સાથે તમામ બેઠકો પર ચર્ચા કરી. મીટીંગમાં તેમણે ગુજરાત ભાજપના નેતાઓને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ‘જે લોકો નારાજ છે તે તમામ પાર્ટી અને પરિવારના છે. તેમના પર દબાણ લાવવાને બદલે સમજણ અને પ્રેમથી કામ કરવું જોઈએ. જે લોકો સમજાવટથી સંમત ન થાય, તેમને ચૌદમું રત્ન બતાવવાનો પણ દિલ્હીથી ચોખ્ખો આદેશ છે. આ બ્રહ્માસ્ત્રને જરૂર ન પડે ત્યાં સુધી છોડશો નહીં એવું પણ કહેવામાં આવ્યું હતું.