સાસરિયાનો અને પતિનો ત્રાસ સહન ના થતા આયશા નામની પરિણીતીએ અમદાવાદમાં સાબરમતી નદીમાં ઝંપલાવ્યું હતું તે ઘટનાની ચર્ચાઓ ફરી એકવાર શરુ થઈ છે, આ પાછળનું કારણ એ છે કે ગુરુવારે અમદાવાદમાં સાબરમતીમાં છલાંગ લગાવવાની બે અલગ અલગ ઘટનાઓ બની છે, જેમાં એક યુવકનું મોત થઈ ગયું છે. પ્રેમિકા સાથે ઝઘડો થતા પ્રેમિએ આવેશમાં આવીને નદીમાં છલાંગ લગાવી દીધી હતી, આ પછી ગર્લફ્રેન્ડે તેનો જીવ બચાવવાની કોશિશ કરી હતી પરંતુ તેનો જીવ બચાવી શકાયો નહોતો.
જ્યારે અન્ય એક ઘટનામાં યુવકનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા આ ઘટનાની વધારે તપાસ શરુ કરવામાં આવી છે. સાબરમતી રિવરફ્રન્ટ પાસે પ્રેમી પંખીડા કોઈ બાબતે ઝઘડી પડ્યા હતા. આ દરમિયાન આવેશમાં આવેલા બોયફ્રેન્ડે છોકરીનો ફોન તોડી નાખ્યો હતો અને પછી તે નદીમાં કૂદી ગયો હતો. બોયફ્રેન્ડે ભરેલા પગલાથી ગર્લફ્રેન્ડ હેબતાઈ ગઈ હતી, તેણ ડૂબતા બોયફ્રેન્ડને બચાવવા માટે પોતાનો દૂપટ્ટો પાણીમાં નાખ્યો હતો પરંતુ બોયફ્રેન્ડનો જીવ બચાવી શકાયો નહોતો. આ સિવાય એક અન્ય ઘટનામાં યુવકનો જીવ બચાવી લેવામાં સફળતા મળી હતી.
જમાલપુર બ્રિજ પર બનેલી ઘટનામાં ૩૫ વર્ષના યુવકને રિવરફ્રન્ટ સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતા બરકત નામના યુવકે જીવ બચાવી લીધો હતો. બરકત ડૂબતા યુવકને નદીમાંથી બહાર કાઢીને બ્રિજના પીલર પર લઈ ગયો હતો. આ પછી રિવર રેસ્ક્યુ ટીમ બન્નેને બહાર કાઢ્યા હતા. જે બાદ ૩૫ વર્ષના નદીમાં છલાંગ લગાવનારા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ સિવાયની એક ઘટનામાં ૨૫ વર્ષનો પ્રકાશ નામનો શાહવાડીના યુવકને શંકા હતી કે તેની ગર્લફ્રેન્ડ કોઈ બીજા સાથે ચેટિંગ કરે છે અને તેના કારણે તેણે આવેશમાં આવીને ગર્લફ્રેન્ડનો ફોન છીનવીને તોડી નાખ્યો હતો. આ પછી બન્ને વચ્ચે ઝઘડો થતા પ્રકાશે નદીમાં કૂદકો મારી દીધો હતો. આ જાેઈને ગર્લફ્રેન્ડે પ્રકાશનો જીવ બચાવવા માટે પોતાનો દુપટ્ટો નાખ્યો હતો પરંતુ તેનો જીવ બચાવી શકાયો નહોતો. આ દરમિયાન પોલીસને ઘટના અંગે જાણ થતા રિવર રેસ્ક્યુ ટીમને જાણ કરવામાં આવી હતી. પ્રકાશને નદીમાંથી બહાર કાઢીને ૧૦૮ને જાણ કરવામાં આવી હતી, જ્યાં ૧૦૮ના સ્ટાફે પ્રકાશને મૃત જાહેર કર્યો હતો. મળતી વિગતો પ્રમાણે પોલીસ આ બન્ને કેસમાં કાર્યવાહી કરી રહી છે.