ભારતનું ભવિષ્ય એટલે આપણા વિદ્યાર્થીઓ. રાત દિવસ મહેનત કરીને વિદ્યાર્થીઓ પોતાના સપના પુરા કરતા હોય છે. એક પરીક્ષા પાસ કરવા માટે વિદ્યાર્થીઓ રાત દિવસ જોયા વગર, અન્ન જળની ચિંતા કર્યા વગર, ઘરથી દૂર રહીને વર્ષો સુધી અઘરો પરિશ્રમ કરીને મહેનત કરતા હોય છે. માત્ર ને માત્ર એટલા માટે જ કે પરીક્ષા પાસ થઈ જાય તો પોતાના સપના પુરા કરી શકે. પરંતુ ક્યારેક એવી ઘટના ઘટે કે આપણું લોહી ઉકળી જાય. ત્યારે એવું જ બન્યું છે અમદાવાદમાં 16 સપ્ટેમ્બરે લેવાયેલી NETની પરીક્ષામાં. અમદાવાદ અને અમદાવાદ બહારથી આવેલા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રઝળી પડ્યા હતા. કારણ કે પરીક્ષા આપવા ગયા તો અડધાથી વધારે વિદ્યાર્થીઓના કોમ્પ્યૂટર ઓન જ ન થયા અને જે લોકોના ઓન થયા એમાંથી કોઈને પેપર પણ સમબિટ ન થયા.
હવે સવાલ એ જ છે કે આખરે આ પરીક્ષા લેવામાં આવી તો શા માટે લેવામાં આવી? જ્યારે પરીક્ષા લેનારાને પૂછવામાં આવ્યું કે શું આજે અમારી પરીક્ષા લેવામાં આવશે કે કેમ તો જવાબ આપવામાં આવ્યો કે થઈ જશે, પરંતુ ક્યારે થશે અને કેમ થશે એનો કોઈ જ જવાબ આપવામાં આવ્યો નહીં. છોકરીઓ દૂર દૂરથી અમદાવાદમાં બપોરના દોઢ વાગ્યાની આવી ગઈ હતી અને હવે ઘરે પણ એમના માતા પિતા રાહ જોતા હશે. પરંતુ પરીક્ષા લેનારાને એમની કોઈ ચિંતા જ નથી. બસ એ લોકો એટલું જ કહે છે કે તમે રાહ જુઓ, તમે રોકાવ. તમારું પેપર ક્યારે લેવાશે અને કેમ લેવાશે એનો કોઈ જ જવાબ નથી.
બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ રોષ વ્યક્ત કર્યો હતો. પરીક્ષા બપોરે 3 વાગ્યાથી શરૂ થવાની હતી પરંતુ તે થઈ નહીં. કેટલાક સર્વર્સ થોડા સમય પછી શરૂ થયા, પરંતુ તેમાંથી મોટાભાગના ન થયા. લગભગ 6 વાગી ગયા કે જ્યારે તો પરીક્ષા પુરી થવાની હતી ત્યારે પણ કોઈ માહિતી નહોથી. તેઓ વિદ્યાર્થીઓને ત્યાંથી જવા પણ દેતા નથી અથવા પરીક્ષા શરૂ પણ કરી શકતા નથી. આ પરીક્ષા શ્યામલિક એસેસમેન્ટ સોલ્યુશન પ્રા.લિ. કે જે શુભમ આર્કેડ સીટીએમ ક્રોસ રોડની સામે આવેલ છે ત્યાં લેવામાં આવી હતી. જ્યારે લોકપત્રિકાએ ઓથોરીટી સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો તો જવાબ આપ્યો કે અમે કોઈ જ વાત કરવા માગતા નથી. બહાર બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ બપોરના દોઢ વાગ્યાના રાહ જોઈ રહ્યા છે અને આ લોકો બધાને મનફાવે એમ જવાબ આપીને હાંકી કાઢી રહ્યા છે. ત્યારે મોટો સવાલ એ જ છે કે ભારતના ભવિષ્ય સમાન આ વિદ્યાર્થીઓને આ રીતે હેરાન પરેશાન કરીને આવી સંસ્થાઓ આખરે શું સાબિત કરવા માગે છે. ક્યારેક ગુજરાતમાં પેપર ફૂટી જાય અને ક્યારેક પેપર સમયે લેવાય નહીં… આવી ઘટનાઓ બનતી રહે છે અને બાળકોના ભવિષ્ય પર બેરોજગારીનો ધબ્બો હેમખેમ રહે છે.