આજે સવારથી જ દરેક પાર્ટીના કાર્યાલયમાં અલગ નજારો જોવા મળી રહ્યો છે. ક્યાંક જશ્નનો માહોલ તો ક્યાંક ઉદાસી. પરંતુ અમદાવાદ ખાતે કોંગ્રેસ ભવનમાં જે જોવા મળ્યું એ આખા ગુજરાત માટે ચોંકાવનારું છે. કારણ કે કાગડા ઉડી રહ્યા છે. શું કોંગ્રેસે પહેલાથી જ હાર સ્વીકારી લીધી છે એટલે કાર્યાલયે કોઈ ફરક્યું જ નથી. ઉપરથી કોંગ્રેસ ભવનમાં જે ઘડિયાળ છે એની પણ ડિસ્પલે ઉડી ગઈ છે અને કાળો ધબ્બો લાગી ગયો છે. ત્યારે હવે રાજકારણમાં અને ખાસ કરીને કોંગ્રેસના નેતાઓમાં ખળભળાટ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસની વોટબેંક પર ઝાડુ ફરી વળ્યું હોય એવું દેખાઈ રહ્યું છે.
તમે આ તસવીરોમાં જોઈ રહ્યા છો કે ઘડિયાળમાં કોઈ પ્રકારનો સમય જ બતાવી રહ્યા નથી. ભાજપ પર કટાક્ષ કરીને એમનો સમય જતો રહેવાની વાત કરતી આ કોંગ્રેસ પાર્ટીનો ખુદનો જ સમય બંધ થઈ ગયો અને હવે તો હાલત એવી છે કે વિપક્ષમાં પણ બેસી શકે એવું નથી. કોંગ્રેસ કાર્યાલયની બહાર કોઈ પ્રકારની ભીડ જોવા નથી મળી અને કાગડા ઉડી રહ્યા છે.
આ સાથે જ જાણવા મળી રહ્યું છે કે દરેક જિલ્લામાં મોટાભાગના જિલ્લા કાર્યાલયમાં ખંભાતી તાળા લાગી ગયા છે અને નેતાઓ પોતાના ઘરભેગા થઈ ગયા છે. દરેક નેતાઓને હારનો ડર પેસી ગયો છે. અને વહેલી સવારે ધોરાજીના ઉમેદવાર લલિત વસોયાએ તો હાર સ્વીકારી જ લીધી હતી.