હવામાન વિભાગે ફરી નવી આગાહી કરી છે. એ રીતે વાત કરીએ તો સૌરાષ્ટ્ર-કચ્છમાં 11મી ઓગસ્ટના રોજ અત્યંત ભારે વરસાદની આગાહી છે. ત્યાં જ ગીર-સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં અત્યંત ભારે વરસાદ ખાબકવાની શક્યતા છે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર તેમજ દાહોદમાં પણ ભારે વરસાદ પડી શકે છે. વલસાડ, દમણ અને દાદરા અને નગર-હવેલીમાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે. અત્યાર સુધીમાં સૌથી ઓછો વરસાદ જો નોંધાયો હોય તો ઉત્તર ગુજરાતમાં. પરંતુ હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં 10 ઓગસ્ટ એટલે કે આજે અમદાવાદને મેઘરાજા ધમરોળશે. સાથે તારીખ 10 અને 11 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદનું જોર રહેશે.
સાથે જ જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગની આગાહીને પગલે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 161 તાલુકામાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ પોરબંદરમાં 3.5 ઈંચ વરસાદ થયો છે, જ્યારે વિજાપુર, સંતરામપુર અને કોડીનારમાં 2.5 ઈંચ થયો છે. સાથે સૂત્રાપાડા તથા મોડાસામાં સવા 2 ઈંચ અને કડાણા, વડાલી, જાલોદ, વડિયા, રાણાવાવ, ધાનેરા અને લોધિકામાં 2-2 ઈંચ વરસાદ થયો છે. ઉપરાંત વેરાવળ અને પોશીનામાં પોણા 2 ઈંચ વરસાદ તથા ચૂડા અને મેઘરજમાં 1.5 ઈંચ વરસાદ થયો છે.