‘મિશન થ્રી મિલિયન ટ્રીઝ’ : અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 45 દિવસમાં 20 લાખથી વધુ વૃક્ષારોપણ, 30 લાખ વૃક્ષો વાવશે

Lok Patrika
By Lok Patrika
Share this Article

ગોપાલ મહેતા ( પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદ ): પાણી વગર માણસ કલાક સુધી જીવી શકે છે, પરંતુ પ્રાણ વાયુ વગર માણસ મિનિટ પણ જીવી શકતો નથી. એ પ્રાણ વાયુ આપણને આપે છે કોણ? આવો કોઈ દિવસ આપણે વિચાર કર્યો છે ખરો? એ વૃક્ષ જ આપે છે. વૃક્ષો અન્યના સુખને માટે છાંયડો આપે છે. મીઠાં ફળ પણ આપે છે. એટલે તો આપણે કહીએ છીએ, ‘જળ એ જ જીવન પરંતુ વૃક્ષ એ પ્રાણ જીવન છે.’ આ જ વાતને સાર્થક કરતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસે ‘એક પેડ માં કે નામ’ અભિયાન શરૂ કરાવીને ભારતના અને વિશ્વભરના લોકોને પોતાની માતા સાથે મળીને કે માતાને અંજલિ રૂપે એક વૃક્ષ વાવવા માટેનું આહવાન કર્યું હતું. આ અભિયાનના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘મિશન થ્રી મિલિયન ટ્રીઝ’ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

અમદાવાદ શહેરમાં ગ્રીન કવર વધે તે માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મિશન મિલિયન ટ્રી અભિયાન દર વર્ષે કરવામાં આવે છે. ચાલુ વર્ષે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મિશન થ્રી મિલિયન ટ્રીનું આયોજન કરવામાં આવ્યું છે.

‘મિશન થ્રી મિલિયન ટ્રીઝ’ અંગે વાત કરતા ડેપ્યૂટી મ્યુનિશિપલ કમિશનર દેવ ચૌધરીએ કહ્યું કે, આ અભિયાન અંતર્ગત ૧૦૦ દિવસમાં ૩૦ લાખ જેટલા છોડ રોપવાનું આયોજન અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં માત્ર ૪૫ દિવસમાં જ ૨૦ લાખથી વધુ છોડ અમદાવાદ શહેરમાં રોપવામાં આવ્યા છે.

તેમણે વધુમાં કહ્યું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના ૭ ઝોન અને ૪૮ વોર્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. અમારી પાસે કુલ ૧૪૭ જેટલા મોટા પ્લોટ છે, જેમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ ‘મિશન થ્રી મિલિયન ટ્રીઝ’ ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બગીચા ખાતુ, મિયાવાકી પ્લાન્ટેશન એજન્સી તેમજ વૃક્ષારોપણ કરતી અનેક એનજીઓ અને સંસ્થા પણ આ અભિયાનમાં અમારી સાથે જોડાઇ છે. અંદાજે ૩૫ જેટલી એજન્સી આ અભિયાનમાં અમારી સાથે વૃક્ષરોપણ કાર્યક્રમમાં સહયોગ આપી રહી છે. એટલું જ નહીં ‘મિશન થ્રી મિલિયન ટ્રીઝ’માં હવે માત્ર ૯થી ૧૦ લાખ જેટલો ટાર્ગેટ બાકી રહ્યો છે, જે અમે ટૂંક સમયમાં પૂર્ણ કરી દઇશું. આ ‘મિશન મિલિયન ટ્રીઝ’ થકી અમદાવાદ શહેરનું અંદાજિત ૬થી ૮ ટકા જેવું ગ્રીન કવર વધવાનો અંદાજ પણ છે.

ડેપ્યૂટી મ્યુનિશિપલ કમિશનરે વધુમાં ઉમેર્યું કે, અમદાવાદ શહેરની અનેક ખાનગી સોસાયટીમાં વૃક્ષારોપણ થઇ શકે એ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘એક પેડ માં કે નામ’ અંતર્ગત વૃક્ષ રથનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરીજનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ડિજિટલ સેવા એપ મારફતે પણ વૃક્ષારોપણની માહિતી મોકલે છે, ત્યારે કોર્પોરેશનની ટીમ દ્વારા તેઓની નક્કી કરેલી જગ્યાઓ પર વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દરેક ઝોન દીઠ એક-એક પ્લોટ પણ નક્કી કરવામાં આવ્યા છે, જેમાં અમદાવાદ શહેર વિસ્તારના કોઇપણ નાગરિક વૃક્ષારોપણ કરવા ઇચ્છુક હોય છે પણ તેમની પાસે જગ્યાની સગવડ ન હોય એવા લોકો અહીં આવીને વૃક્ષારોપણ કરી શકે, તેવું આયોજન કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે.

વધુમાં વધુ શહેરીજનો આ ‘મિશન થ્રી મિલિયન ટ્રીઝ’ અભિયાનમાં જોડાય તેવી અપીલ પણ ડેપ્યૂટી મ્યુનિશિપલ કમિશનર દ્વારા કરવામાં આવી છે.

શું છે ‘મિશન થ્રી મિલિયન ટ્રીઝ’ અભિયાન?

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરનું ગ્રીન કવર વધારવાના ઉમદા આશય સાથે ‘મિશન થ્રી મિલિયન ટ્રીઝ’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત 30 લાખ જેટલા વૃક્ષો વાવવામાં આવશે. આ પહેલ આવનારા સમયમાં શહેરનું એકંદર તાપમાન અને પ્રદૂષણ ઘટાડવામાં મદદરૂપ બનશે.

શહેરના ૭ ઝોનમાં ૨૦ લાખથી વધુ વૃક્ષારોપણ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૭ ઝોનમાં માત્ર ૪૫ દિવસની અંદર ૨૦ લાખથી વધુનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. જેમાં ઉત્તર ઝોનમાં ૨,૭૦,૪૯૪ જેટલું પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે. જ્યારે પૂર્વ ઝોનમાં ૫,૩૦,૦૧૬ પ્લાન્ટેશન, દક્ષિણ ઝોનમાં ૫,૨૭,૧૫૩ પ્લાન્ટેશન, પશ્વિમ ઝોનમાં ૧,૮૯,૯૧૫ પ્લાન્ટેશન, ઉત્તર પશ્વિમઝોનમાં ૨,૬૧,૮૫૧ પ્લાન્ટેશન, દક્ષિણ પશ્વિમ ઝોનમાં ૨,૦૬,૨૦૦ પ્લાન્ટેશન તેમજ મધ્ય ઝોનમાં કુલ ૧૮,૬૮૧ પ્લાન્ટેશન કરવામાં આવ્યુ છે. આમ, ૩૦ લાખના લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં ૨૦ લાખથી વધુનું વૃક્ષારોપણ કરી દેવામાં આવ્યું છે.

અમદાવાદ શહેરમાં છેલ્લાં પાંચ વર્ષમાં કરવામાં આવેલું વૃક્ષારોપણ

અમદાવાદ શહેરમાં છેલ્લાં પાંચ વર્ષમાં થયેલા વૃક્ષારોપણની વાત કરીએ તો, વર્ષ ૨૦૧૯-૨૦માં કુલ ૧૧,૬૬,૩૮૭ વૃક્ષારોપણ, વર્ષ ૨૦૨૦-૨૧માં કુલ ૧૦,૧૩,૮૫૬ વૃક્ષારોપણ, વર્ષ ૨૦૨૧-૨૨માં ૧૨,૮૨,૦૧૪ વૃક્ષારોપણ, વર્ષ ૨૦૨૨-૨૩માં ૨૦,૭૫,૪૩૧ વૃક્ષારોપણ તેમજ વર્ષ ૨૦૨૩-૨૦૨૪માં ૨ ઓગસ્ટ સુધી કુલ ૨૦,૦૫,૭૯૫ વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે.

VIDEO: લગ્ન પછી કેવી રીતે હનીમૂન મનાવે છે કિન્નરો, દરેક પ્રશ્નનોના જવાબ સાંભળો તેમના જ શબ્દોમાં

કયા ખાતામાં રાખેલા પૈસા સૌથી વધુ જોખમમાં છે? RBIએ જણાવ્યું અને બેંકોને પણ આપી ચેતવણી આપી

નીતિન ગડકરીએ ટોલને લઈને લીધો મોટો નિર્ણય, હાલની સિસ્ટમનો અંત લાવ્યો; કરી દીધી નવી જાહેરાત

વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે

વૃક્ષોનાં પર્ણો પ્રકાશસંશ્લેષણની ક્રિયા અંતર્ગત કાર્બન ડાયોક્સાઇડ શોષીને હવાને શુદ્ધ કરે છે. વૃક્ષો જાતજાતનાં ફળો આપે છે. વૃક્ષોનાં મૂળિયાં જમીનનું ધોવાણ અટકાવે છે. વૃક્ષો રણને આગળ વધતું અટકાવે છે. કેટલાંક વૃક્ષોના મૂળિયાં અને પર્ણો ઔષધિ તરીકે વપરાય છે. કેટલાંક વૃક્ષોનાં પાન પડિયાં-પતરાળાં બનાવવાના કામમાં આવે છે. વૃક્ષો વાદળાંને ઠંડા પાડીને વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. વૃક્ષોની શીતળ છાયામાં પશુઓ, ખેડૂતો અને વટેમાર્ગુઓ વિશ્રામ કરે છે. વળી વૃક્ષો ધરતીની શોભા છે. વૃક્ષો વિનાની ધરતી કેશ વિહોણા શીશ જેવી ઉજ્જડ લાગે છે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly