વડોદરા અને સુરતમાં ભાજપનાં નેતા નૂપુર શર્માનો વિરોધ થયો હતો એ બાદ હવે અમદાવાદમાં પણ વિરોધના સુર રેલાયા છે. તેમના દ્વારા મોહમ્મદ પયગંબર પર કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનની હવે સમગ્ર દેશમાં ગંભીર અસર થઈ રહી છે. મહંમદ પયગંબર વિશે કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનના વિરોધમાં આજે લાલ દરવાજા વિસ્તારમાં આવેલું ઢાલગરવાડ બજાર અને ત્રણ દરવાજા બજાર આખે આખું બંધ રાખવામાં આવ્યું હતું. ઢાલગરવાડ અને ત્રણ દરવાજા વિસ્તારમાં આવેલા પાથરણાબજારના વેપારીઓએ બંધ રાખીને વિરોધ નોંધાવ્યો છે.
આ સિવાય પણ માહિતી મળી રહી છે કે દરિયાપુર વિસ્તારમાં પણ બંધ રાખવામાં આવ્યો હતો. ઉપરાંત સ્થાનિકોએ નૂપૂર શર્માની ધરપકડની માગ કરતાં બેનર લઈને રેલી કાઢી હતી જેની સમગ્ર દેશમાં નોંધ લેવાય એવી માગ કરવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો પ્રમાણે આજે સવારે દસ વાગ્યાની આસપાસ રાબેતા મુજબ બજાર શરૂ થયું હતું. જોકે પાથરણાબજારને 12 વાગ્યા બાદ કેટલાક લોકોએ આવીને બંધ કરાવી દીધું હતું.
આ ઘટનામાં પોલીસે પણ પુરુ ધ્યાન આપ્યું છે અને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે અને ક્યાંય કોઇ અનિચ્છનીય ઘટના કે તોફાની તત્ત્વો કાંકરીચાળો ન કરે એને પગલે પેટ્રોલિંગ પણ શરૂ કર્યું હચું. શરૂઆત કંઈક આ રીતે થઈ કે અમદાવાદના મિર્ઝાપુર ત્રણ રસ્તા પાસે નૂપુર શર્માના વિરોધમાં મોટી સંખ્યામાં લોકોનું ટોળું બહાર આવ્યું હતું. જે બાદ કારંજ અને શાહપુર પોલીસ સ્ટેશન સહિત ઝોન-2 ડીસીપી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી પોલીસે લોકોને સમજાવીને પાછા જવા માટે કહ્યું હતું. જો કે તેની કોઈ અસર જોવા મળી ન હતી.
એવું પણ કહેવામં આવી રહ્યું હતું કે ગઈકાલે ગુરુવારે અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં બંધના મેસેજ વાઇરલ કરવામાં આવ્યા હતા, જેને પગલે લાલ દરવાજા, કારંજ, પટવાશેરી સહિતના આસપાસના વિસ્તારોના સ્થાનિક મુસ્લિમ આગેવાનો અને સ્થાનિક પોલીસ તથા ઉચ્ચ અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. બેઠકમાં મુસ્લિમ સમાજના આગેવાનોને શાંતિ તથા ભાઈચારાની એકતા જળવાઈ રહે એ માટે બંધ ન રાખવા સમજાવવામાં આવ્યા હતા અને તેઓ દ્વારા બંધ ન રાખવા સંમતિ દર્શાવી હતી.