સરકારી કર્મચારીઓની છાપ હંમેશાથી આળસુની રહી છે. ત્યારે હાલમાં એક કિસ્સો સામે આવ્યો છે એ કિસ્સા પછી અધિકારીની ઈમાનદારી અને તેમને કરેલા કાર્યની વાહવાહી કરવામાં આવી રહી છે. કારણ કે જ્યારે એ ડોક્ટર ગામ છોડીને જતા હોય છે ત્યારે લોકોએ છેક મુખ્યમંત્રી સુધી આ વાતની રજુઆત કરી અને ડોક્ટર મેડમને ગામમાં જ રાખવા માટે કવાયત હાથ ધરી છે.
વાત જાણે કે એમ છે કે અમદાવાદ જિલ્લાના કણભા ગામે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા ૧ વર્ષથી બોન્ડેડ MO તરીકે ફરજ બજાવતા ડો. પુજાબેન જે. મોરડીયાની તારીખ ૧૪/૬/૨૦૨૨ના રોજ કામગીરીની સમય મર્યાદા પૂર્ણ થઈ ગયેલ છે. તેઓને ફરીથી ફરજ ઉપર લેવા માટે કણભા અને આલપાસના ગામના લોકોની માંગ છે. ડો.પુજાબેન મોરડીયા જ્યારથી કણભાના PHCમાં MO તરીકે ફરજ ઉપર આવ્યા છે ત્યારથી ગામની આરોગ્યલક્ષી સેવામાં ખુબ જ સારો અને મોટો ફેરફાર આવ્યો છે.
ત્યારે ગ્રામ્ય વિસ્તારના લોકો સાથે પોતાપણુ બતાવીને ડો.પુજાબેને આરોગ્ય ક્ષેત્રે જાગૃતતા ફેલાવી છે. ખાસ કરીને તેઓ ફરજ ઉપર આવ્યા ત્યારથી PHCમાં ડીલીવરીની સંખ્યામાં ખાસ વધારો થયો છે. ડો.પુજાબેન ગામડાની મહિલાઓ સાથે સીધો સંપર્ક ઉપરાંત આશા બહેનો સાથે અને ગામના મહિલા અગ્રણી સાથે સારો સંપર્ક રાખતા હોવાથી આ શક્ય બન્યું છે. હાલ ગામની મહિલાઓ ડો.પુજાબેનને એક મસીહા તરીકે જુએ છે.
આ ઉપરાંત ડો.પુજાબેનની કામગીરીને લીધે કણભા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને NQAS તરફથી એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. આ એવોર્ડ ખુદ આપણા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબના હસ્તે ડો.પુજાબેનને એનાયત કરવામાં આવ્યો હતો. ડો.પુજાબેન મોરડીયાનો એક જ હેતુ હોય છે ગુજરાત સરકારની આરોગ્ય લક્ષી તમામ યોજનાઓ ગામડાના છેવાડાના લોકો સુધી પહોંચે અને ગામડાનો દરેક વ્યક્તિ તંદુરસ્ત અને સ્વસ્થ રહે.
પ્રધાનમંત્રી જનસુરક્ષા યોજના પણ દરેક નાગરિક સુધી પહોંચે તે માટે ડો. પુજાબેન મહત્વની કામગીરી કરી રહ્યા છે. આ માટે દર મહિનાની ૯ તારીખે યોજાયા કાર્યક્રમની રૂપરેખા પણ અગાઉથી તૈયાર કરીને પોતાની સેવા નિભાવી રહ્યા છે. માત્ર એક વર્ષ જેટલા ટૂંકા સમયમાં ડો. પુજાબેન જે. મોરડીયાએ કણભા તેમજ આસપાસના ગામડાઓના લોકોના દિલમાં સ્થાન બનાવી દીધું છે. તેઓનો સેવાભાવી સ્વભાવ, દર્દીઓ સાથેની આત્મીયતા અને દરેકને ભવિષ્યને ધ્યાનમાં રાખીને કામ કરવાની પધ્ધતિથી સૌ કોઈ ગ્રામજનો ડો.પુજાબેનની કામગીરીની ચર્ચા કરે છે, અને જાણે તેઓ બહારના નહીં પરંતુ પોતાના છે તેવુ માની રહ્યા છે.
ડો.પુજાબેન આવ્યા પહેલા અને પછીના પણ સરકારી કામગીરી ઉપર પણ નજર કરવામાં આવે તો સત્ય હકીકત સામે આવી જાય તેમ છે. ડો.પુજાબેન દરેક જ્ઞાતિના દર્દીઓને પોતાના માનીને તેઓને તુરંત અને યોગ્ય સારવાર મળે તે માટે હંમેશા ખડેપગે રહીને ફરજ બજાવે છે. ત્યારે સમગ્ર ગ્રામજનો કહી રહ્યા છે કે અમો નીચે સહી કરનાર તમામની માંગ છે કે, કણભા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડો. પુજાબેન જે. મોરડીયા ફરીથી ફરજ ઉપર લેવામાં આવે. આરોગ્ય ક્ષેત્રમાં જાગૃતિ લાવનાર, ગરીબોના મસિહા તેમજ સેવાભાવી તબીબ એવા ડો. પુજાબેન જે. મોરડીયાને ફરજ ઉપર લેવામાં આવે તેવી અમારી નમ્ર અરજ છે.