ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી હોવાથી ભાજપે અત્યારથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. વડાપ્રધાન મોદી આગામી ૧૧ માર્ચના રોજ ૨ દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આજે ભાજપ કોર ગ્રુપની બેઠકમાં પીએમ મોદીના ગુજરાત પ્રવાસના કાર્યક્રમ અંગે અને રોડ શો સહિત સમગ્ર કાર્યક્રમની ચર્ચા થઈ હતી. વડાપ્રધાન મોદી ૧૧ માર્ચના રોજ સવારે ૧૦ઃ૦૦ કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચશે, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.
એરપોર્ટથી કમલમ્ સુધીનો રોડ શો યોજાશે. સવારે ૧૦.૪૫થી ૧.૩૦ વાગ્યા સુધી પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે બેઠક થશે. ભાજપના તમામ ૫૦૦થી વધુ નેતાઓ સાથે વડાપ્રધાન મોદી બેઠક કરશે. બપોરે ૪ઃ૦૦ વાગ્યા સુધી વડાપ્રધાન રાજભવન ખાતે રોકાણ કરશે.સાંજે ૪ઃ૦૦થી ૫ઃ૩૦ વાગ્યા સુધી વડાપ્રધાન જીએમડીસી ખાતે પંચાયત મહા સંમેલનમાં હાજરી આપશે. સાંજે ૬ઃ૦૦થી ૮ઃ૦૦ વાગ્યા સુધી પીએમ મોદી રાજભવન ખાતે બેઠકો યોજશે. વડાપ્રધાન રાજભવન ખાતે જ રાત્રિ રોકાણ કરશે. ૧૨ માર્ચના રોજ સવારે ૧૦ઃ૦૦ કલાકે રક્ષા શક્તિ યુનિવર્સીટી જવા રવાના થશે.
૧૧ઃ૦૦ થી ૧ઃ૦૦ વાગ્યા સુધી રક્ષા શક્તિ યુનિ.નો પદવીદાન કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રાજભવન ખાતે સાંજે ૬ઃ૩૦ કલાકે અમદાવાદમાં ખેલ મહાકુંભની શરૂઆત કરાવાશે. વડાપ્રધાન જનમેદનીને સંબોધિત કરશે અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે. પોતાના ૨ દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી માતા હીરાબાની મુલાકાત લઈ શકે છે. બે દિવસ દરમિયાન વીઆઈપી તથા વીવીઆઈપી લોકોની સગવડ સચવાય અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે એ માટે પોલીસ કમિશનર દ્વારા રસ્તાઓના ડાયવર્ઝનને લઈ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.
અમદાવાદમાં તા. ૧૧ માર્ચ ૨૦૨૨ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ, મેમનગર ખાતે ‘ગુજરાત પંચાયત મહાસંમેલન… મારૂં ગામ મારૂં ગુજરાત’ કાર્યક્રમ યોજાશે. આ કારણે બપોરના ૧૨ઃ૦૦ વાગ્યાથી કાર્યક્રમની સમાપ્તિ સુધી સંજીવની હોસ્પિટલથી વસ્ત્રાપુર તળાવથી અંધજન મંડળ ચાર રસ્તાથી હેલ્મેટ ચાર રસ્તા તથા સંજીવની હોસ્પિટલથી વસ્ત્રાપુર તળાવથી હોટલ હ્યાત થઈને કલ્યાણપુષ્ટી હવેલી સુધીનો માર્ગ વાહનોની અવર જવર માટે પ્રતિબંધીત રહેશે.
આ સમય દરમિયાન વૈકલ્પિક માર્ગ તરીકે સંજીવની હોસ્પિટલથી વસ્ત્રાપુર તળાવ થઈને શહીદચોક વસ્ત્રાપુર તળાવ થઈને માનસી ચાર રસ્તાથી ડાબી બાજુ વળીને કેશવબાગથી ડાબી બાજુ વળીને અંધજન મંડળ ચાર રસ્તાથી જમણી બાજુ વળીને પાંજરાપોળ ચાર રસ્તા થઈને ગુલબાઈ ટેકરાથી દાદાસાહેબ પગલા ચાર રસ્તાથી વિજય ચાર રસ્તાથી હેલ્મેટ ચાર રસ્તા સુધીના માર્ગનો અવર-જવર માટે ઉપયોગ કરી શકાશે.
અમદાવાદમાં તા. ૧૨ માર્ચ ૨૦૨૨ના રોજ સરદાર પટેલ સ્ટેડીયમ, નવરંગપુરા ખાતે ‘ખેલ મહાકુંભ-૨૦૨૨’નો કાર્યક્રમ યોજાવાનો છે. આ કારણે બપોરે ૨ઃ૦૦ વાગ્યાથી કાર્યક્રમની સમાપ્તિ સુધી ૨ માર્ગ બંધ રહેવાના છે. તેમાં સરદાર પટેલ બાવલા સર્કલથી સ્ટેડીયમ છ રસ્તા તથા ઈન્કમટેક્સ ચાર રસ્તાથી સ્વસ્તીક ચાર રસ્તા તથા લખુડી સર્કલથી સ્ટેડીયમ છ રસ્તા તથા કોમર્સ સર્કલથી સ્ટેડીયમ છ રસ્તા સુધીનો માર્ગ વાહનોની અવર-જવર માટે પ્રતિબંધીત રહેશે.
તેના વૈકલ્પિક માર્ગ તરીકે ઉસ્માનપુરા ચાર રસ્તા થઈને ઈન્કમટેક્સ ઓવરબ્રિજ થઈને બુટ્ટાસિંગ ચાર રસ્તા થઈને મીઠાખળી સર્કલ થઈને ગીરીશ કોલ્ડડ્રીંક્સ ચાર રસ્તા થઈ સ્વસ્તીક ચાર રસ્તા સુધીના માર્ગનો ઉપયોગ કરી શકાશે. તે સિવાય લખુડી સર્કલથી દર્પણ સર્કલ થઈ વિજય ચાર રસ્તાથી દાદાસાહેબના પગલાથી કોમર્સ સર્કલ સુધીના માર્ગનો ઉપયોગ કરી શકાશે. રીવરફ્રન્ટ પશ્ચિમ માર્ગ પણ બંધ રહેવાનો છે.
તેમાં વાડજ સ્મશાનગૃહ કટથી પશ્ચિમનો રીવરફ્રન્ટ રોડ આંબેડકર બ્રિજ નીચે સુધીનો રીવરફ્રન્ટ રોડ વાહનોની અવર-જવર માટે પ્રતિબંધીત રહેશે. તેના વૈકલ્પિક માર્ગ તરીકે આશ્રમ રોડ-રીવરફ્રન્ટ પૂર્વનો માર્ગ એટલે કે, વાડજ સ્મશાનગૃહ કટથી વાડજ સર્કલ થઈને આશ્રમ રોડથી પાલડી ચાર રસ્તા થઈને અંજલિ ચાર રસ્તા પર અવર-જવર કરી શકાશે. ઉપરાંત પૂર્વના રીવરફ્રન્ટ રોડનો ઉપયોગ કરી શકાશે. જાેકે આ સમય દરમિયાન કાર્યક્રમ સાથે સંકળાયેલા વાહનો, ફરજમાં રોકાયેલા સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સના વાહનો તેમજ આકસ્મિક સંજાેગોમાં વાહન સાથ અવર-જવર કરનારાઓને આ જાહેરનામું નહીં લાગુ પડે.