હાલમાં અમિત શાહ ગુજરાત પ્રવાસે છે અને માદરે વતન અમદાવાદમાં અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે. ત્યારે અમદાવાદ ખાતે આવતા ડિસેમ્બર-જાન્યુઆરીમાં પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ યોજાવાનો છે. આ મહોત્સવ માટે અમદાવાદની પશ્ચિમે સાયન્સ સીટી-ઓગણજ સર્કલ વચ્ચે સરદાર પટેલ રીંગ રોડના કિનારે લગભગ 600 એકર જમીનમાં એક વિશાળ મહોત્સવ-સ્થળ ‘સ્વામિનારાયણ નગર’ બનવા પામી રહ્યું છે.
ત્યારે આજ રોજ દેશના ગૃહમંત્રી અમિત શાહ ‘સ્વામિનારાયણ નગર’માં ઉપસ્થિત રહ્યા હતા અને સંતોની હાજરીમાં કળશ-સ્થાપન વિધિ કરી હતી. સ્થાનિક ખેડૂતો, બિલ્ડરો અને વેપારીઓએ મહોત્સવ માટે સેવામાં આપેલ કુલ 600 એકર ભૂમિમાં હાલમાં કંઈક અનોખો જ માહોલ જોવા મળી રહ્યો છે.
સાથે જ વિગતો મળી રહી છે કે ‘ગ્રીન એન્ડ ક્લીન’ મહોત્સવ સ્થળ તરીકે વિકસી રહેલા આ સ્વામિનારાયણ નગરમાં 7 હજાર વૃક્ષો અને 10 લાખથી વધુ ફૂલ-છોડ રોપવામાં આવ્યા છે. વ્યસ્તમુક્તિ અને પર્યાવરણ જાગૃતિ સહિતના ઘણા કાર્યક્રમો અહીંયા આકાર લેવા પામી રહ્યા છે. સ્વામિનારાયણ નગર’માં વિશાળ કલાત્મક પ્રવેશદ્વારો, કલામંડિત મંદિર અને ભક્તિમંડપો, પ્રેરણા આપતા પ્રદર્શનો, સાંસ્કૃતિક સંદેશ આપતા અનેકવિધ રચનાત્મક પ્રયોગો, ગીત-સંગીત-નૃત્ય વગેરે કાર્યક્રમોથી ગૂંજતા સભામંડપો અને કોન્ફરન્સ સ્થળ હશે.
આ મહોત્સવ-સ્થળના વિશાળ મુખ્ય પ્રવેશદ્વારે જ્યાં મહોત્સવનું વિશાળ પ્રતિકચિહ્ન સ્થાપિત થવાનું છે એ સ્થળે વેદોક્ત વિધિપૂર્વક કળશ-સ્થાપન વિધિ કરવા માટે આજરોજ ભારતના ગૃહમંત્રી અમિત શાહ મહોત્સવ સ્થળે પધાર્યા હતા અને શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમની વિશેષ વાત એ પણ છે કે દેશ-વિદેશના વિવિધ ક્ષેત્રોના ધુરંધરો અને ભારતના મહાન સંત-મહાત્માઓના પ્રેરક વક્તવ્યોનો લાભ મળશે.
ખાસ વાત એ છે કે અહીંયા બાળકોને શિક્ષણ-સંસ્કાર-સ્વાસ્થ્યની પ્રેરણા આપતી અનોખી બાળનગરી પણ બનશે. વાત કરી દઈએ કે બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ માટે આકાર લઇ રહેલા સ્વામિનારાયણ નગરમાં હાલ 2 હજારથી વધુ સમર્પિત સ્વયંસેવકો સેવા આપી રહ્યાં છે અને મહોત્સવ દરમ્યાન 50 હજારથી વધુ સંખ્યામાં સેવા આપશે એવી પણ માહિતી મળી રહી છે.