સ્વામિનારાયણ સંપ્રદાયના આધ્યાત્મિક ગુરુ પ્રમુખસ્વામી મહારાજના જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે અમદાવાદમાં ભવ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ચાલનારા આ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. અમદાવાદના ઓગંજ સર્કલ પાસે આ ફેસ્ટિવલ માટે 600 એકરનું વિશાળ ટાઉન બનાવવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમા અનેક ભક્તો સેવા આપી રહ્યા છે એ પછી ભલે સીએ, મેનેજમેન્ટ કે કોઈ પણ ઉંચી ડિગ્રી ધરાવતા હોય. આવા જ એક કિસ્સા વિશે આજે અહી વાત કરવામા આવી રહી છે.
વડોદરાની ખાનગી કંપનીમાં નોકરી કરી રહેલો અને IIT ખડગપુરમાં ભણેલો યશ પટેલ પણ અહી સેવામા લાગી ગયો છે. મૂળ પાદરા વડોદરાનો વતની યશ IIT ખડકપુરથી પીજી ડિપ્લોમા ઇન રબર ટેક્નોલોજી સાથે અભ્યાસ કર્યો છે અને અત્યારે વાર્ષિક પેકેજ 8થી 10 લાખ સાથે એક ખાનગી કંપનીમા નોકરી કરી રહો છે. યશ વાત કરતા જણાવે છે કે તેણે ક્યારેય ઘરે ટોયલેટ સાફ કર્યું નથી પણ પ્રમુખ સ્વામીએ ભક્તોના રોલ મોડલ હતા. નાનામાં નાનું કામ તેઓ કરતા હતા અને તેઓ તેની કામ કરવાની પ્રેરણા છે.
જો કે, આ કાર્યક્રમમા માત્ર યશ એકલો એવો યુવાન નથી જે આ રીતે સેવા આપી રહ્યો હોય. અહી સીએનો અભ્યાસ કરતા શોભિત પટેલ નામનો યુવક પણ ટોયલેટ સાફ કરી રહ્યો છે. શોભિતનુ કહેવુ છે કે ‘કોઈ કામ નાનું નથી. શતાબ્દી મહોત્સવમાં સેવા આપવાનો મોકો મળ્યો એ જ અમારા માટે મોટી વાત છે.’
પ્રમુખ સ્વામીનગરમાં હાલ લાખો લોકો મુલાકાત લઈ રહ્યા હોવાથી 240 જેટલા ટોયલેટ બ્લોક બનાવાયા છે. મહિલાઓ માટે પિંક અને પુરુષો માટે બ્લ્યુ શૌચાલય છે. આ સાથે દુર્ગંધ બહાર ન જાય તે માટે બહાર સુગંધિત ફૂલોનું પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે.