અક્ષરમૈત્રી સાહિત્ય વર્તુળ ગુજરાતના 25માં વર્ષમાં મંગળ પ્રવેશના રજત જયંતી મહોત્સવ દરમિયાન ગુજરાતના ખ્યાતનામ ફિલ્મી કલાકારો અને પ્રસિદ્ધ સમાજ સેવકોનું “કવિ કલાપી સાહિત્ય કલા” એવોર્ડ અર્પણ કરી ભવ્યાતિભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્ય સહિત ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના ઇતિહાસમાં સૌ પ્રથમવાર એક સાહિત્યિક સંસ્થા દ્વારા રૂપેરી પરદે ચમકતા ફિલ્મી સીતારાઓ અને શ્રેષ્ઠ સમાજ સેવકોનું સન્માન કરવામાં આવ્યું હતું જેની પાછળનો મુખ્ય ઉદ્દેશ એજ છે કે સાહિત્ય અને કલા એ એક સિક્કાની બે બાજુ સમાન છે, સાહિત્ય વિના કલા પાંગળી અને કલા વિના સાહિત્ય પાંગલું છે.
સાહિત્ય, કલા અને સંસ્કૃતિનો ત્રિભેટ એટલે અક્ષરમૈત્રી સાહિત્ય વર્તુળ ગુજરાત. સંસ્થાના સંસ્થાપક અને ખ્યાતનામ યુવા શાયર ડૉ.કેતન એમ. પંડ્યા “વિનીત” દ્વારા સાહિત્યજગતમાં સૌ પ્રથમ વખત નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે કે જેમાં મૂળમાં સાહિત્ય સાથે જોડાયેલા કલા અને સંસ્કૃતિને એક મંચ પર લાવી તે તમામને સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
સૌ પ્રથમવાર સાહિત્યિક સંસ્થા દ્વારા કલાકારોનું સન્માન થતું હોઈ પ્રસિદ્ધ કલાકારોએ પણ આ અભિગમને સહર્ષ સ્વીકારી સન્માન પ્રાપ્ત કર્યું હતું અને સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓને ભરપેટ વખાણી ખોબલે ખોબલે શુભેચ્છાઓની હેલી વરસાવી આનંદિત પળોને માણી હતી.
ઉપરોક્ત કાર્યક્રમમાં શ્રેષ્ઠ કલાકાર અને શ્રેષ્ઠ સમાજસેવક તરીકે “કવિ કલાપી સાહિત્ય કલા” એવોર્ડથી સન્માનિત થયેલા કલાકારો અને સમાજસેવકોમાં શ્રી શ્રદ્ધાબેન ઝા કે જેઓ પ્રસિદ્ધ અભિનેત્રી સહિત ગુજરાત પ્રદેશ મંત્રી તેમજ મહેસાણા જિલ્લા મહિલા મોરચા ભાજપના પ્રભારી છે તેઓ મુખ્ય અતિથી પદે ઉપસ્થિત રહ્યા હતાં સાથોસાથ અતિથી વિશેષ પદે શ્રી જિજ્ઞાબેન શેઠ પ્રસિદ્ધ સમાજ સેવિકા અને જિજ્ઞા કોમ્યુટર કલાસીસ, શંખેશ્વર નાઓ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.
જ્યારે ઉપસ્થિત કલાકારમાં શ્રી કેશવ રાઠોડ પ્રસિદ્ધ ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર કે જેમને 350 થી વધુ ગુજરાતી ફિલ્મોમાં કથા, પટકથા, સંવાદ અને ગીતો દ્વારા ગુજરાતી સંસ્કૃતિને કલા દ્વારા સજીવન રાખવાના પ્રયાસ કર્યો છે, શ્રી જીતુ પંડ્યા પ્રસિદ્ધ ગુજરાતી ફિલ્મ હાસ્ય કલાકાર, શ્રી મૌલિક પાઠક પ્રસિદ્ધ ફિલ્મ/સિરિયલ કલાકાર, શ્રી ભદ્રેશ દવે પ્રસિદ્ધ હાસ્ય કલાકાર/જુનિયર રમેશ મહેતા, શ્રી રતનસિંહ વાઘેલા પ્રસિદ્ધ ગુજરાતી ગાયક, શ્રી ઝીલ જોશી પ્રસિદ્ધ ગુજરાતી ફિલ્મ અભિનેત્રી, શ્રી નીરજ ગજ્જર પ્રસિદ્ધ પાર્શ્વગાયક ઈન્ડિય વર્લ્ડ રેકોર્ડ, શ્રી નીક્કી પેરેરા પ્રસિદ્ધ નૃત્ય નિર્દેશક, શ્રી ગ્રીવા કંસારા પ્રસિદ્ધ હાસ્ય કલાકાર, શ્રી જય રામી પ્રસિદ્ધ બાળ કલાકાર-ગોરા કુંભાર, શ્રી ગૌતમ દવે બ્રહ્મ અગ્રણી/સમાજસેવક.
શ્રી મીનાક્ષી ઠાકર પ્રસિદ્ધ સમાજ સેવિકા/આચાર્યાશ્રી, શ્રી ખુશી એમ. પંડ્યા બાળ કલાકાર, શ્રી રાજ કે. પંડ્યા બાળ કલાકાર વગેરેએ ઉપસ્થિત રહી અક્ષરમૈત્રી સાહિત્ય વર્તુળ ગુજરાતના રજત જયંતી મહોત્સવ સહિત કવિ કલાપીના ગુણગાન કરી કલાકાર સન્માન સમારોહના કાર્યક્રમને સાચા અર્થમાં શોભાવ્યો હતો. સન્માન સમારોહમાં ઉપસ્થિત સૌ કલાકાર મિત્રો તેમજ શ્રેષ્ઠ સમાજ સેવકોનું અક્ષરમૈત્રી સાહિત્ય વર્તુળ ગુજરાતના સંસ્થાપકશ્રી સહિત સમગ્ર ટીમે આ પ્રસંગે સ્વાગત અને અભિવાદન કરતા આભાર વ્યક્ત કર્યો હતો.