ગુજરાતમાં આજે 89 બેઠક પર પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. 89 બેઠક પર ઉમેદવારો અને આમ જનતા મતદાન માટે ભારે ઉત્સાહ બતાવી રહી છે. ત્યારે નવા આંકડા પ્રમાણે 12 વાગ્યા સુધીમાં સરેરાશ 24 ટકા મતદાન થયું હતું. હજુ પણ લોકો મતદાન કરી રહ્યા છે. એ વચ્ચે અમુક કિસ્સાઓની વાત કરવામાં આવે તો…
જો વાત કરીએ રાજકોટની તો ત્યાં પણ એક વરરાજાએ લગ્ન પહેલા રામનાથપરા જૂની જેલની સામે શાળા નંબર 16 ખાતે મતદાન કર્યું હતું. કેવલ ભાવસાર નામના વરરાજા મતદાન કરવા આવ્યા ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારે તેમને લગ્નની શુભકામના પાઠવી હતી.
એ જ રીતે વાત કરીએ તો ભવનાથમાં સાધુ-સંતોએ પણ મતદાન કર્યું છે. ભારતીય સાધુ સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ હરિગીરી બાપુએ મતદાન કર્યું છે. ગીરનાક મહામંડળના અધ્યક્ષ ઇન્દ્રભારતી બાપુએ મતદાન કર્યું. ભાવનગરમાં સદી વટાવી ચૂકેલા ગોળીબાર મંદિરના મહંત મદન મોહનદાસ બાપુએ પણ મતદાન કર્યું છે. મદન મોહનદાસ બાપુની નાદુરસ્ત તબિયત હોવા છતાં પણ મતદાન કરવા પહોંચ્યા હતા જેથી એ એક ઉદાહરણ બની રહ્યા છે.
તો વળી ગીર સોમનાથ જિલ્લાના વન વોટર માટે બૂથ પર સંત હરિદાસ બાપુએ મતદાન કર્યું હતું અને સાથે જ સૌ લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી છે. ભારત દેશની અંદર આ એકમાત્ર એવું બુથ છે જે માત્ર એક જ વ્યક્તિના વોટ માટે ગીર જંગલની મધ્યમાં તૈયાર કરવામાં આવે છે. 15 વ્યક્તિના ઇલેક્શન સ્ટાફ સાથે વિધિવત રીતે એક બુથ ઊભું કરે છે. જેમાં ગીર જંગલની મધ્યમાં આવેલ બાણેજા આશ્રમના મહંત હરિદાસ બાપુ અચૂક મતદાન કરે છે.