રાધનપુર,દિનેશ સાધુ: હાલમાં રાધનપુરથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ત્યાં શેરગઢ ગામે ચૌધરી સમાજની યુવતી પર હુમલો કરવામાં આવ્યો હતો અને એ હુમલામાં હવે ધંધુકા ખાતે ભરવાડ સમાજના યુવાનના હત્યાકાંડ પણ આ વાત સાથે જોડવામાં આવ્યો હતો. યુવતીઓના આરોપીઓ અને કિશનના આરોપીઓને સજા કરવાની માંગ મામલે રાધનપુરની આદર્શ વિદ્યાલય ખાતે આજે બેઠક યોજાઇ હતી.
આ વિશે વિગતો મળી રહી છે કે રાધનપુરમાં બંધનું એલાન અને રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. આજે હવે જોવાનું રહ્યું કે રાધનપુરમાં કેવો માહોલ જોવા મળે છે. ઘટના કંઈક એવી બની હતી કે રાધનપુર તાલુકાના શેરગઢ ગામે વિધર્મી શખ્સે ચૌધરી સમાજની યુવતી પર હુમલો કર્યો હતો, આ હુમલો યુવતીના ઘરમાં ઘૂસીને છરી વડે કરવામાં આવ્યો હતો. આ મામલે ચૌધરી સમાજના અગ્રણીઓની ઉપસ્થીતીમાં હિન્દુ સમાજની એક બેઠક આદર્શ વિદ્યાલય ખાતે યોજાઇ હતી.
આજે રાધનપુર સજ્જડ બંધ રાખવાનો બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે. તો સાથે જ રાધનપુર આદર્શ વિદ્યાલયથી સવારે 11 કલાકે મહારેલી યોજી આવેદનપત્ર આપવામાં આવશે. સાગરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આ સાથે ધંધુકા ખાતે થયેલા હત્યાકાંડના આરોપીઓને સજા કરવાની માંગ સાથે ભરવાડ સમાજ પણ આ રેલીમાં જોડાશે. આમ ચૌધરી સમાજ અને ભરવાડ સમાજની આ મહારેલીમાં સમસ્ત હિન્દુ સમાજ જોડાશે.