મિત્તલ મહેતા – વિરમગામ ( એક્સકલુઝીવ સ્ટોરી ): દેશમાં કોર્ણાક અને મોઢેરાના સૂર્યમંદિર વિશ્વ પ્રસિદ્ધ છે. ત્યારે ગુજરાતના એક પણ વ્યક્તિને ખબર નહીં હોય કે, ગુજરાતમા બે સૂર્યમંદિર હતા. જેમાં એક મોઢેરામા અને બીજું ઝીંઝુવાડામાં હતું. જૈન મુનિરાજ જયંતવિજયજી શ્રી શંખેશ્વર મહાતીર્થ પુસ્તકમા પાના નં-52 પર એનો સ્પષ્ટ ઉલ્લેખ છે. જ્યારે ઈસરોના પૂર્વ વૈજ્ઞાનિક ડો.ડો. પી.એસ.ઠકકર જણાવે છે કે, ઝીંઝુવાડા એ પહેલા પંચાસર ગામ હોવાનો પણ લેખિત પુરાવા મળ્યા છે. લોકપત્રિકા સાથેની મુલાકાતમા એમણે ઝીંઝુવાડાના જાજરમાન ઇતિહાસ વિશે ઝીંણવટભરી માહિતી આપી હતી.
પ્રશ્ન-ઝીંઝુવાડા રણમાં આવેલા જીલંધર કુંડના ઇતિહાસ વિશે જણાવશો ?
-જીલંધર કુંડની વાત કરવામાં આવે તો 1970માં જ્યારે મેં એ સમયના પુરાતત્વ વિભાગના નિયામક મુકુંદભાઈ રાવળ સાથે મુલાકાત લીધી હતી, ત્યારે એ કુંડમાં બારેમાસ પાણી રહેતું હતું અને એ પાણી બિલકુલ મીઠું હતું. મારી ઉપગ્રહની તસ્વીરમાં 1965માં આખો કુંડ તો ભરેલો છે, પણ કુંડની ચારેબાજુ પણ પાણી હતું. આ કુંડમાં આજે પણ સરસ્વતીનો પ્રવાહ ચાલુ છે.
પ્રશ્ન- શું ઝીંઝુવાડામા પાંચ નદીઓનો પ્રવાહ એક સાથે વહેતો હતો ?
‘સરસ્વતી મહાત્મ્ય’ પુસ્તકમાં એ પણ લખ્યું છે, કે ઝીંઝુવાડામાં પાંચ સરિતાના પ્રવાહ આવતા હતા. અને પાંચ નદીના પ્રવાહ આવતા હોવાથી આનું નામ પંચાસર હોઈ શકે. હું અંગત રીતે એવુ માનું છું કે, કદાચ મૂળ પંચાસર આ ઝીંઝુવાડા હશે. એમાં ઝીંઝુવાડાના એક ઝાલાભાઈ પાસે એમના દાદા પરબતસિંહ કાકુભા ઝાલાએ વર્ષો પહેલા સ્વહસ્તે લખેલા પુસ્તકમાં સ્પષ્ટ ઉલ્લેખ છે, કે ઝીંઝુવાડા ગામ એ પહેલા ઓરીજનલ પંચાસર ગામ હતું.
પ્રશ્ન- ઝીંઝુવાડાની સમર વાવ નીચેથી આજેય સરસ્વતી નદીનો ગુપ્ત પ્રવાહ વહે છે ?
પાટડીથી માત્ર 30 કિ.મી.દૂર આવેલા ઐતિહાસીક ઝીંઝુવાડા ગામની મુલાકાત લો તો તમને ગામમાં પ્રવેશતા જમણી બાજુ સિંહસર તળાવ અને ડાબી બાજુ સમર વાવ આવેલી છે. ગુજરાતનું એક એવુ ઐતિહાસીક ઝીંઝુવાડા ગામ આવેલું છે, જેના પેટાળમાંથી આજેય સરસ્વતીનો ગુપ્ત પ્રવાહ વહે છે. સેટેલાઇટ દ્વારા લેવાયેલી તસ્વીરમાં ઝીંઝુવાડાની સમર વાવ નીચેથી સરસ્વતી નદીની જીવંત ચેનલ પસાર થતી હોવાનું પણ પુરવાર થયું છે.
પ્રશ્ન- ઝીંઝુવાડા ગુજરાતનું એકમાત્ર વૈશ્વિક નગર જેવું લંબચોરસ ગામ છે ?
જે ગામ ત્રીકોણ, ચોરસ કે લંબચોરસ હોય એ વૈશ્વિક નગરમાં આવે છે કે, જ્યાં રાજાનો મહેલ, મંદિર, સૈનિકો કે વેપારીઓ ક્યાં રહેશે એ નક્કી કરેલું હોય છે. ઝીંઝુવાડા એ લંબચોરસ આકારમાં આવેલુ ઐતિહાસીક વૈશ્વિક નગરનું ગામ છે. ઝીંઝુવાડામાં આવેલા સિંહસર તળાવ, સમરવાવ, મૈત્રી વાવ, ઝીલકેશ્વર, નળેશ્વર સહિતના પંચ તીર્થો ભવ્ય ભૂતકાળની આજેય ગવાહી પુરી પાડે છે.
પ્રશ્ન- ઝીંઝુવાડા ગામનો કોઈ યાદગાર કિસ્સો જે તમને યાદ હોય ?
સને 2003-04માં અમે સંશોધન અર્થે ઝીંઝુવાડા ગયા હતા. ત્યારે સરપંચ દ્વારા મંદિરની પાછળ જેશીબી વડે ખોદકામ કરવામાં આવતા દૂધ જેવુ સફેદ અને નારીયેળ જેવું મીઠું પાણી નીકળ્યું હતું. અને સમરવાવમાં છ એંજીન મુકતા મીઠા પાણીનો સ્ત્રોત મળી આવ્યો હતો.
જો તમારે 32 દાંત હોય તો રાજાની જેમ મળશે ત્રણેય લોકના સુખ! જાણો 28, 29 અને 30 વાળાનું શું થાય?
પ્રશ્ન- ઝીંઝુવાડામા પ્રાચીન સૂર્યમંદિર હોવાનું પણ સામે આવ્યું છે ?
હા, ગુજરાતમા બે સૂર્યમંદિર હતા. જેમાં એક મોઢેરામા અને બીજું ઝીંઝુવાડામાં હતું. શંખેશ્વરના જૈન મુનિરાજ જયંતવિજયજી શ્રી શંખેશ્વર મહાતીર્થ પુસ્તકમા પાના નં-52 પર એનો સ્પષ્ટ ઉલ્લેખ છે. સમય જતા હાલ ઝીંઝુવાડામા સૂર્યમંદિરના કોઈ અવશેષો જોવા મળતા નથી. અને વધુમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ “મનકી બાત” કાર્યક્રમમા બે વખત ઐતિહાસિક ઝીંઝુવાડા ગામની જાહોજલાલીનો ઉલ્લેખ કર્યો હતો.