વિસાવદર વિધાસનભાની પેટાચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ બની છે. ભાજપે પસંદગીનો કળશ કિરીટ પટેલ પર ઢોળ્યો છે. આ સાથે જ અનેક અટકળો શરૂ થઈ છે. એક તરફ નેતાઓ પર મજબૂત પકડ ધરાવનાર ભાજપમાં છેલ્લા ઘણાએ સમયથી આંતરિક વિખવાદ સામે આવ્યો છે. બીજી તરફ પક્ષપલટુ નેતાઓને જ સત્તાના સિંહાસન પર બેસાડવામાં આવતા વર્ષોથી મહેનત કરનાર નેતાઓમાં પણ નારાજગીના સૂર ઉઠ્યા છે. આ દરમિયાન વિસાવદર બેઠકમાં વિચિત્ર સમીકરણ રચાયું હતું. ટિકિટની રેસમાં ત્રણ નામ હતા જેમાંથી બે નેતા પક્ષપલટો કરીને આવ્યા હતા. જેમાંથી ભાજપે મૂળ ભાજપના નેતાને મેદાને ઉતાર્યા છે.
વિસાવદરની બેઠક પર વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ રાજીનામું આપી દીધું અને વિધિવત રીતે ભાજપમાં જોડાયા. ચૂંટણી પહેલા જ કોંગ્રેસને મોટો ફટકો આપનાર હર્ષદ રિબડીયાને ભાજપે ગિફ્ટમાં વિસાવદર બેઠક પર ઉમેદવાર બનાવ્યા. વર્ષ 2022ની ચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન તો સારું રહ્યું પરંતુ ભાજપને વિસાવદર બેઠક પર પક્ષપલટુ નેતા મુકવા ભારે પડ્યા. વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપત ભાયાણીએ બાજી મારી હતી. જો કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તરીકે કામગીરી કરી રહેલા ભૂપત ભયાણીએ અચાનક રાજીનામું ધરી દીધું અને તે પણ હર્ષદ રિબડીયાને રસ્તે ભાજપમાં આવ્યા.
જો કે બન્યું એવું કે ભાજપમાં ટિકિટની રેસમાં આગળ ચાલનાર પક્ષપલટુ નેતા હર્ષદ રિબડીયા કે ભૂપત ભાયાણીનો પેચ પેટા ચૂંટણીમાં ભાજપમાં ન બેસ્યો અને ભાજપે પક્ષપલટુ નેતામાંથી એક પણને ટીકીટ આપી નહીં અને કિરીટ પટેલને મેદાને ઉતાર્યા. ત્યારે સવાલ એ છે કે પક્ષપલટુ નેતા માટે ભાજપે લાલ જાજમ પાથરી પરંતુ વરઘોડિયા ન બનાવ્યા.
ભાજપે રણનીતિ બદલી કે વિસાવદરની રગ ચકાસી?
કિરીટ પટેલને ટિકિટ આપતા અનેક સવાલો ઊભા થયા છે. જેમાં એવો પણ અંદાજ લગાવી શકાય છે કે ભાજપ હવે વિરોધને લઈ અને પોતાની રણનીતિ બદલી મૂળ ભાજપીને ટિકિટ આપી છે. આ સાથે જ સવાલ એ પણ ઊભો થાય છે કે અન્ય પક્ષના નેતાઓને ભાજપમાં પ્રવેશ કરાવી અને ઉમેદવાર બનવવાની રણનીતિ બદલાતા ભાજપમાં પોતાનો પક્ષ અને હોદ્દો છોડી આવનાર નેતાના રાજકીય કરિયર પર પ્રશ્નનાર્થ પણ થાય એ સ્વાભાવીક છે.
જોકે ટિકિટ કપાયા બાદ ભૂપત ભાયાણીએ એવું પણ કહ્યું કે જે નિર્ણય લેવાયો છે એ મારી સહમતીથી લેવાયો છે. કિરીટ પટેલ મારો નાનો ભાઇ છે. મોટા ભાઇ તરીકે મે આશીર્વાદ આપ્યા છે. મહત્વનો મુદ્દોએ છે કે ભાજપે વર્ષ 2022માં કોંગ્રેસમાંથી આવનાર હર્ષદ રિબડિયાની હાર બાદ હવે ભાજપે મૂળ ભાજપી ઉમેદવાર ઉતારીને નવો ચીલો ચીતર્યો છે. જો કે આનાથી મૂળ ભાજપના નેતાઓને નવી આશા જાગશે.