તાજેતરમાં ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શિક્ષકોનો વધ ઘટનો બદલી કેમ્પ યોજવામાં આવ્યો હતો. ગત બદલી કેમ્પમાં વધ પડવાને કારણે અન્ય તાલુકામાં ગયેલા શિક્ષકોને પરત તાલુકામાં લાભ આપવામાં આવ્યો હતો.જોકે કેટલાક શિક્ષકોએ પોતાના તાલુકા અને માતૃ શાળામાં પરત આવવા માટે ભૂતિયા બાળકો દાખલ કર્યા હોવાની ચોંકાવનારી જાણકારી બહાર આવી રહી છે.જેમાં માત્ર એક બાળકને દાખલ કરવાથી વધુ એક શિક્ષક મળી જાય તેવી ગોઠવણ જે તે શાળાના આચાર્યથી માંડીને તાલુકા અને જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી દ્વારા ચૂપચાપ કરી દીધી હોવાનું બહાર આવ્યું છે.જેને પગલે ખેડા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ભૂતિયા બાળકો દાખલ કરવામાં આવ્યા હોવાની ચર્ચાઓ ઉઠી રહી છે.
ઠાસરા તાલુકાના ડાકોર પે સેન્ટરની સીમલજ પ્રાથમિક શાળામાં ગત ઓગસ્ટ માસના મહેકમ મુજબ ધોરણ ૧ થી ૫ માં ૯૦ બાળકો હોવાનુ દર્શાવ્યું હતું.જેને પગલે ત્રણ શિક્ષકો મળવાપાત્ર હતા.જોકે વધુ એક બાળક દાખલ કરી દેવાય તો ચાર શિક્ષક મળી શકે તેમ હોવાથી કેટલાક દિવસો પછી મહેકમમાં ભૂલ હોવાનુ જણાવીને બધું એક વિદ્યાર્થી દાખલ કરીને સુધારો કરી દેવામાં આવ્યો હતો.જેને પગલે ૯૧ સંખ્યા થઈ જતાં બદલી કેમ્પમાં ૪ શિક્ષકોનું મહેકમ મળવાપાત્ર થઈ જતાં સીમલજ શાળામાં એક ને બદલે બે જગ્યાઓ ખુલી જવા માપી હતી.જેથી બે શિક્ષકોને સમાવી લેવાનો કારસો ઘડી કાઢ્યો હતો.
જો કે આ બાબતે તપાસ કરતા જાણવા મળેલ કે સીમલજ પ્રાથમિક શાળામાં માત્ર બે મહિના પૂરતી બાળકોની સંખ્યા ૯૧ જાહેર કરવામાં આવી હતી અને નવેમ્બર 2021 થી એપ્રિલ 2022 સુધી બાળકોની સંખ્યા ૯૦ કરી દેવામાં આવી હોવાની ચોંકાવનારી જાણકારી બહાર આવી છે.આમ બદલી કેમ્પમાં લાભ લેવા પૂરતા ભૂતિયા બાળકો દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.જોકે આ મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કોઈની ફરિયાદ હોય તો મોકલો અને આ મામલો હલ કરી દિધો હોવાનો જવાબ આપીને મામલો દબાવી દેવાની કોશિષ કરી રહ્યા હતા.
જિલ્લામાં ભૂતિયા બાળકો મામલે કાર્યવાહી કેમ નહિ ?
નડિયાદ: ખેડા જિલ્લાની કેટલીક પ્રાથમિક શાળાઓમાં વધ થઈને અન્ય તાલુકામાં બદલી પામેલા શિક્ષકોને તેમના તાલુકામાં ગોઠવી દેવા માટે વધુ મહેકમ માટે ભૂતિયા બાળકો દાખલ કરી દેવામાં આવ્યા હોવાનુ ધ્યાને આવ્યું હોવાછતાં જિલ્લા કચેરી દ્વારા કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ? જે તે સમયે ૯૦ બાળકો ની સંખ્યા મોકલીને જો સંખ્યા છૂપાવવામાં આવી હોય તો જવાબદાર આચાર્ય સામે કેમ કાર્યવાહી કરવામાં આવી નથી ? બે મહિના પછી ફરીથી બાળકોની સંખ્યા ઓછી થઈ ગઈ તેમછતાં કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ? તેવા સવાલો સાથે જિલ્લા અને તાલુકા કચેરીના જવાબદારો પણ શંકાના દાયરામાં આવી જવા પામ્યા છે.