અનુ.જાતિની મહિલાને ઢોર માર મારવાના બનાવમાં એલ.સી.બી. પી.આઈ. મહિલા કર્મચારી સહિત ચાર પોલીસ અધિકારીયો વિરુદ્ધ ફોજદારી કેસ દાખલ કરવા કોર્ટનો આદેશ આપવામાં આવ્યો છે.
ધારાશાસ્ત્રી અજમલ સોલંકીની દલીલો ગ્રાહય રાખતી કોર્ટ
ગાંધીધામ : અહીંની પૂર્વ કચ્છ જીલ્લા અધિક્ષક કચેરીના કંપાઉન્ડમાં આવેલ એલ.સી.બી. શાખાની કચેરીમાં પાંચ વર્ષ આગાઉ એક અનુંસૂચિત જાતિની મહિલાને બાળક ચોરીના તદન ખોટા આરોપસર ઢોર માર મારવાના કેસમાં કોર્ટે તત્કાલીન એલ.સી.બી. પી.આઈ. તથા મહિલા કર્મી સહિત ચાર પોલીસ અધિકારીયો વિરુદ્ધ ફોજદારી કેસ દાખલ કરવાનો આદેશ કરતાં પ્રકરણ ચર્ચાસ્પદ બન્યુ છે.
આ બનાવની વિગતો એવી છે કે રાપર તાલુકાના કિડીયાનગરનાં રહેવાસી
ભોગ બનનાર લક્ષ્મીબેન સુજાભાઈ સોલંકીની પુત્રવધુ ગીતાબેને આદીપુર-કચ્છની એક હોસ્પીટલમાં બાળકીને જન્મ આપ્યો હતો. એ બાળકી જન્મના બે દિવસમાં જ તે હોસ્પીટલમાંથી ચોરી થઇ જતાં તેની માતા ગીતાબેને આદીપુર પોલીસ સ્ટેશને બાળકીની ચોરીની ફરિયાદ નોંધાવી હતી. એ કેસની તપાસ એલ.સી.બી.ને સોંપાતાં પોલીસે તે બાળકની ચોરી બાબતે પુછ-પરછના બહાને ભોગ બનનાર લક્ષ્મીબેન તથા તેમના ભાઈ વેરશીભાઈને એલ.સી.બી. ઓફીસે બોલાવી, ખોટી રીતે ગુનો કબુલ કરાવવા પોલીસે લક્ષ્મીબેનને ઢોર માર માર્યો હતો.
ગંભીર રીતે ઘવાયેલ લક્ષ્મીબેનને પ્રથમ રામબાગ હોસ્પીટલમાં ૨૪ કલાક દાખલ રાખી સારવાર આપી હતી, બાદમાં ભુજ જનરલ હોસ્પીટલમાં વધુ સારવાર માટે મોકલાવ્યાં હતાં. ફરિયાદી વેરસીભાઈ રાઠોડે કોર્ટમાં આરોપી પોલીસ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. કોર્ટે એ કેસની વિગતવાર તપાસ કરતાં પ્રથમ દર્શનીય રીતે આરોપીયો પોલીસવાળાએ ગુનો કરેલ હોવાનું જણાયુ હતુ.
બાદમાં ફરિયાદીના ધારાશાસ્ત્રી શ્રી અજમલ સોલંકીની દલીલો ગ્રાહય રાખી ગાંધીધામના અધિક ચીફ જયુડીશિયલ મેજીસ્ટ્રેટ શ્રી એમ.બી. પરમાર સાહેબે તત્કાલીન એલ.સી.બી. પી.આઈ. ડી. વી. રાણા, હેડ કોન્સટેબલ પુષ્પરાજસિંહ જયેન્દ્રસિંહ ગોહીલ, હેડ કોન્સટેબલ પ્રહલાદસિંહ મેંદુભા ચુડાસમા, મહિલા પોલીસ કોન્સટેબલ વીમળાબેન ડાભડીયા વિરુદ્ધ ભારતીય ફોજદારી ધારાની કલમો ૩૨૩, ૧૧૪, ૩૪૨, ૩૪૭,૩૪૮ તથા ૫૦૬ તળેના ગુના કામે ફોજદારી કેસ દાખલ કરી, તેમને કોર્ટ સમક્ષ હાજર થવા હુકમ કર્યો હતો.