જુનાગઢથી એક સમાચાર સામે આવી રહ્યા છે. સોરઠ પંથકમાં ઊના અને તાલાલા પંથકમાં માવઠું પડ્યું છે. જેના કારણે ખેડૂતોને નુકસાન થયું છે. ઊના- ગીરગઢડા પંથકમાં બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યોઅને ગાજવિજ તેમજ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો.અને ગ્રામ્ય વિસ્તારોમાં દોઢ કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. જેના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા અને ખેતરના ઉભા પાકને પણ નુકસાન થયું હતું. આ સીવાય આજુબાજુના ગામો નિતલી, વડલી, મોતીસર, ચિખલકુબા, નગડીયા, સીમાસી, કરેણી, કાણકીયા, આંબાવડ, દ્રોણ, ફાટસર, ઇટવાયા, ખીલાવડ, જશાધાર, બેડીયા અંબાડા, ઉગલા, સહીતના ગામોમાં ધોધમાર દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.
વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાતા પાકને નુકસાન થયું હતું.અને લીલાદુષ્કાળ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.જ્યારે ઊનામાં હળવુ ઝાપટું પડ્યું હતું.જ્યારે નગડીયામાં વિજળી પડતા લીમડાના વૃક્ષને ફાટી ગયું હતું.અને થડમાં તિરાડ પડી ગઈ હતી.
તાલાલા સહિત ગીર પંથકમાં પણ વરસાદી માહોલ વચ્ચે એક કલાકમાં 2 ઈંચ વરસાદ પડ્યો હતો. ખેતરોમાં તૈયાર પાકને વ્યાપક નુકસાન થતા ખેડૂતોને આર્થિક ફટકો પડયો છે. સરકાર દ્રારા તુરંત સર્વે કરી વળતર ચુકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. એ જ રીતે કોડીનાર પંથકના ડોળાસા ગામે પણ વરસાદી ઝાપટાં પડતાં ખેડૂતો ચિંતિત બન્યાં હતા. વેરાવળ : વેરાવળમાં પણ વરસાદી માહોલ વચ્ચે છાટા પડયાં હતાં.તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડતાં ખેતરોમાં પાણી ભરાયા હતા અને પાકને નુકસાન થયું હતું. તો વળી પ્રાચી સહિત આસપાસના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને એક કલાક સુધી પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો જેથી પાકને નુકસાન થયું હતું. જ્યારે પીપળવા ગામે વીજળી પડતાં 2 પશુઓના મોત થયા હતા જ્યારે એક મકાનની દીવાલ ધરાશાયી થઈ હતી.