૨૦૦૩માં આરંભયેલા શાળા પ્રવેશોત્સવને ૨૦ વર્ષ પૂર્ણ થવા પર રાજ્યવ્યાપી આયોજન હાથ ધરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના દૂરંદેશી નેતૃત્વમાં હજારો બાળકોને પહેલા ધોરણમાં પ્રવેશ આપીને તેમના જીવનના એક મહત્વપૂર્ણ પડાવ પર શિક્ષણ વિભાગ દ્વારા તેમને આવકારવામાં આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ જિલ્લા કલેકટર સુશ્રી પ્રવીણ ડી.કેના માર્ગદર્શનમાં સમગ્ર જિલ્લામાં કન્યા કેળવણી ઉત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
આ જ શૃંખલામાં વિરમગામ તાલુકાના સુરજગઢ ગામે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો. ગામની પ્રાથમિક શાળામાં ધોરણ એકમાં ૯ વિદ્યાર્થીઓ, બાલવાટિકામાં ૧૭ તેમજ આંગણવાડીમાં બે વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો. પ્રવેશ મેળવનાર તમામ વિધાર્થીઓને શાળા કીટ આપીને આવકારવામાં આવ્યા હતાં.
આ પ્રસંગે ઉપસ્થિત નાયબ મામલતદારશ્રી મિતેશભાઈ વાળંદે જણાવ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ શિક્ષણનું સ્તર સુધારવા માટે કરેલી પ્રવેશોત્સવ રૂપી પહેલ આજે અભિયાન બની ગઈ છે. શાળાપ્રવેશોત્સવ એ વિદ્યાર્થીઓના મનમાં ઉજ્જવળ ભાવિનું બીજ રોપવાનો ઉત્સવ છે. મોટી સંખ્યામાં વાલીઓની હાજરીને તેમણે જાગૃતતા ગણાવી ઉમેર્યું કે, શાળા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસનું સરનામું છે.
ઉલ્લેખનીય છે કે સુરજગઢની પ્રાથમિક શાળાની સ્થાપના ૬૦ વર્ષ પહેલા થઈ હતી. આ શાળામાંથી અભ્યાસ પૂર્ણ કરનાર અનેક વિધાર્થીઓ આજે શ્રેષ્ઠ પદો પર પહોંચ્યા છે. શાળાના આચાર્ય શ્રી નરેશભાઈ ઠક્કર જણાવે છે કે, પ્રતિવર્ષ શાળા પ્રવેશોત્સવ માટે આજ પ્રકારનો ઉત્સાહ સમગ્ર ગામમાં જોવા મળે છે.
આ પણ વાંચો
દ્વારકા પર નહીં આવે બિપરજોય વાવાઝોડાનું સંકટ! મંદિરમાં એકસાથે ચડાવાઇ બે ધજા, જાણો ચોંકાવનારું કારણ
બી.આર.સી. કો-ઓર્ડીનેટર શ્રી મૌલિકભાઈ બારોટે આ પ્રસંગે જણાવ્યું કે, શાળા પ્રવેશોત્સવ થકી માત્ર એક બાળક જ નહીં પણ સમગ્ર પરિવાર અને સમાજ પ્રગતિનું પગથિયું ચડે છે. આજના કાર્યક્રમમાં કેટલાક એવા વાલીઓ પણ હતા જેઓ સુરજગઢ પ્રાથમિક શાળામાં ભણ્યા અને આજે તેમના સંતાનો પણ અહીં જ ભણે છે. તેમના માટે તો શાળા જાણે બીજા ઘરનું સરનામું બની ગઈ છે. શાળા પ્રવેશોત્સવ પ્રસંગે સુરાજગઢના સરપંચ શાંતિભાઈ વડલાણી, આગેવાન હેમાભાઈ, ચંદુભાઈ, શાળામાં અભ્યાસ કરતા વિધાર્થીઓ, વાલીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
– વિવેક, પ્રાદેશિક માહિતી કચેરી- અમદાવાદ