આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાની જીભ ફરી એક વખત લપસી છે. અમદાવાદમાં એક કાર્યક્રમમાં તેમણે મંચ પરથી દિલ્હીના મુખ્યમંત્રી અને આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સહિતની ઉપસ્થિતિમાં ઉપસ્થિત લોકોને સંબોધન કરતા સમયે ભાંગરો વાટી દીધો હતો.
અમદાવાદમાં ઇસુદાન ગઢવીને અરવિંદ કેજરીવાલ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં મંચ પરથી આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા સંબોધન કરી રહ્યાં હતા. તેમણે ઇસુદાન ગઢવીને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરાયા તે બાબતને આવકારી હતી. જોકે આ અંગેના પોતાના સંબોધનમાં તેઓ જાહેર મંચ પરથી એવું બોલી ગયા કે….આ પ્રસંગે હું મારા દિલની વેદના ……એવું બોલ્યા હતા. જેને કારણે એક સમયે કાર્યક્રમના સ્થળે સોપોં પડી ગયો હતો. જોકે ગોપાલ ઇટાલિયાએ તરત જ પોતાની વાત વાળી લીધી હતી.
આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું કે, ઈસુદાન ત્યાગ કરીને આમ આદમી પાર્ટીમાં આવ્યાં છે અને મહેનત પણ કરી છે. સાબરમતી જેલમાં અમે સાથે હતાં ત્યારે અમને ઘણું જ્ઞાન મળ્યું છે. હું ઈસુદાન ગઢવીની સૌથી નજીક છું. તેમને જનતાએ પસંદ કર્યાં છે. પોતાના આ સંબોધન દરમિયાન તેમની જીભ લપસી હતી. નોંધનીય છે કે અગાઉ પણ આ પ્રકારે ગોપાલ ઇટાલિયાની જીભ લપસી છે અને તેને લઇને ભારે વિવાદ પણ સર્જાયો છે.