ભાવનગર શહેરના અંદાજિત રુ.૨૯૭ કરોડના રીંગ રોડ પ્રોજેક્ટને મંજૂરી આપતા મંત્રી જીતુભાઇ વાઘાણી
રાજ્યના શહેરી વિસ્તારોમાં જનસુખાકારી સુવિધાની વૃદ્ધિ માટે રાજ્ય સરકારે વધુ એક જનહિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ભાવનગર શહેરના અંદાજિત રુ.૨૯૭ કરોડના રીંગ રોડ પ્રોજેક્ટને મંજૂરી આપવામા આવી છે. આ રિંગ રોડના નિર્માણ થકી ભાવનગર તથા આસપાસના નાગરિકો – વાહન ચાલકોને ટ્રાફિક જામમાંથી મુક્તિ મળશે તેમજ સમય અને ઇંધણની પણ બચત થશે તેમ મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું છે.
સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સની એજીએમમાં ભાવનગર શહેરના આ રીંગરોડ પ્રોજેક્ટની જાહેરાત કરતા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ૪.૭૫ કિલોમીટરનો નવા બંદર રોડથી જુના બંદર જંકશન સુધી લિંક, ૨.૩૫ કિલોમીટરનો જુના બંદર જંકશનથી કેબલ સ્ટેયડ બ્રિજ સુધી લિંક, ૧૪.૫૦ કિલોમીટરનો કેબલ સ્ટેયડ બ્રીજથી નિરમા જંકશન સુધી લિંક, ૧.૩૦ કિલોમીટરનો રુવા રવેચી ધામ થી નવા બંદર રોડ સુધી લિંક તેમજ ટોપ થ્રી સિનેમાથી ટોપ થ્રી સર્કલ અને ટોપ થ્રી સર્કલથી માલણકા જંકશન લિંક સુધીનો અંદાજિત ૨૪ કિલોમીટરનો આ સમગ્ર રીંગરોડ પ્રોજેક્ટ રૂ.૨૯૭ કરોડના ખર્ચે તૈયાર થશે.
ભાવનગરમાં આકાર પામનાર આ રીંગરોડને પરિણામે ભાવનગરના માર્ગો પરનું ટ્રાફિક ભારણ હળવું થશે. ભાવનગર શહેરના આ મહત્વપૂર્ણ રીંગરોડ પ્રોજેક્ટને મંજુર કરવા બદલ મંત્રીશ્રી વાઘાણીએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.