હવે શાળાઓમાં પરીક્ષાની મોસમ શરૂ થવા જઈ રહી છે. દિવાળી વેકેશન પડે એ પહેલાં આગામી સોમવારથી શાળાઓમાં પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. ત્યારે આ પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે શિક્ષણ બોર્ડ દ્વારા એક કડક નિર્ણય લેવામાં આવ્યો છે અને પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. વાત એવી છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શાળાઓની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે આગામી સોમવારથી યોજાઈ રહેલી શાળાઓની પરીક્ષા ગેરરીતિ વિહીન અને ભય મુક્ત સ્વસ્થ વાતાવરણમાં લેવામાં આવે તેવી માહિતી આપવામાં આવી છે.
ખાસ વાત એવી છે કે સરકાર તરફથી જે પરિપત્ર આપવામાં આવ્યો એમાં શાળાઓની પરીક્ષામાં પણ બોર્ડની પરીક્ષા મુજબની કામગીરી કરવાનો આદેશ છે. સાથે જ આગામી સોમવારથી શાળાઓમાં શરૂ થઈ રહેલી પરીક્ષામાં ખંડ નિરીક્ષકને બોર્ડની પરીક્ષા મુજબની કામગીરી થાય એવું જણાવવામાં આવ્યું છે. એટલું જ નહીં પણ તમામ ક્લાસરૂમ સીસીટીવી કેમેરાથી સજ્જ બનાવવા અને CCTVની ચકાસણી સહિતની સુવિધાઓ પણ રાખવામાં આવે એવું સ્પષ્ટ જણાવ્યું છે.
આગળ વાત કરીએ તો નિરીક્ષકે બોર્ડની પરીક્ષાની માફક પુરવણીની સંખ્યા, વિદ્યાર્થીઓએ કેટલા પાનામાં લખાણ લખ્યું સહિતની વિગતો જેમ બોર્ડમાં ભરીએ એ જ રીતે ભરવાની રહેશે. માર્ચ-2023માં બોર્ડની પરીક્ષા ગેરરીતિ વિહીન અને ભય મુક્ત સ્વસ્થ વાતાવરણમાં લેવામાં આવે તેવું અંગોતરુ આયોજન કરવું જરૂરી છે. આ સંદર્ભે ગેરરીતિ કેસ બને તો ક્યાં પગલાં લેવામાં આવે છે. તે અંગે વિદ્યાર્થીઓ અવગત બને અને સ્વસ્થ જાગૃત માનસિકતા અને પૂર્વ તૈયારી સાથે પરીક્ષા માટે સજ્જ બને તે જરૂરી છે એવું પણ આ પરિપત્રમાં લખવામાં આવ્યું છે અને દરેક શાળાઓને આદેશ આપવામાં આવ્યો છે.