પીએમ મોદી અને આરએસએસ સંબંધિત કેસમાં આસામ કોર્ટે જામીન આપ્યા ના એક જ કલાકમાં ગુજરાતના વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની ફરી ધરપકડ કરવામાં આવી છે. અહેવાલ અનુસાર મેવાણીએ અધિકારીઓ સાથે ગેરવર્તણૂક કર્યા બદલ ફરી તેમની ધરપકડ આસામ પોલિસ દ્વારા કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ટ્વીટ કરવા અંગે તેમના સામે કેસ નોંધવામાં આવ્યો હતો.
કોકરાઝારની એક કોર્ટે રવિવારે ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને એક દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા. તેમને જણાવી દઈએ કે, આસામ પોલીસે મેવાણીને વડાપ્રધાનના વિરુદ્ધમાં ટ્વીટ કરવાના મામલે બુધવારે ગુજરાતથી ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેઓ ૩ દિવસની પોલીસ કસ્ટડીમાં હતા. રવિવારે મોડી સાંજે તેમને અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ કેસમાં દલીલો રાત્રે ૯.૩૦ વાગ્યા સુધી બે કલાકથી વધુ ચાલી હતી. આ કેસની સુનાવણી સીજેએમના આવાસ પર થઈ હતી.
મેવાણીના સમર્થનમાં કોંગ્રેસે ધારણા કર્યા હતા. રવિવારે આસામ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ ભૂપેન બોરા અને ધારાસભ્ય દિગંતા બર્મન અને એસ કે રાશિદે પાર્ટી કાર્યાલયથી કોકરાઝાર પોલીસ સ્ટેશન સુધી એક મૌન માર્ચ યોજી હતી. કોંગ્રેસ દ્વારા સમર્થિત અપક્ષ ધારાસભ્ય મેવાણીની વડાપ્રધાન વિરુદ્ધ કથિત ટ્વીટ કરવાને કારણે કોકરાઝાર પોલીસ સ્ટેશનમાં આઈપીસીની વિભિન્ન ધારાઓ અને આઈટી અધિનિયમ હેઠળ કેસ નોંધાયા બાદ બુધવારે રાત્રે ગુજરાતના પાલનપુરના સર્કિટ હાઉસ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. એફઆઈઆરમાં તેમણે પોતાના ટ્વીટમાં કથિત રીતે કહ્યું હતું કે, મોદી ‘ગોડસેને ભગવાન માને છે’.