કોંગ્રેસના ગુજરાત પ્રદેશના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ છેલ્લા કેટલાક સમયથી એક યા બીજી રીતે કોંગ્રેસની નેતાગીરી સામે જાહેરમાં નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. હાર્દિકના આ નિવેદનો વચ્ચે હવે એવી ચર્ચા છે કે તેઓ કોંગ્રેસનો હાથ છોડી ભાજપમાં જાેડાઈ શકે છે. હાર્દિક પોતે પણ ભાજપની નેતાગીરીના વખાણ કરી ચૂક્યા છે. ગુજરાતમાં હવે વિધાનસભા ચૂંટણીને ખાસ સમય નથી રહ્યો, ત્યારે હાર્દિક પટેલ ખરેખર કોંગ્રેસ છોડશે, અને છોડશે તો ક્યારે છોડશે જેવી ચર્ચા હાલ રાજકારણમાં ચર્ચાનો વિષય બની છે.
તેવામાં હવે એવું જાણવા મળી રહ્યું છે કે હાર્દિક પટેલ અખાત્રીજે આ મામલે કોઈ મોટો ધડાકો કરી શકે છે. હાર્દિક પટેલ આજે તાપી જિલ્લામાં યોજાયેલા કોંગ્રેસના યુવા સ્વાભિમાન સંમેલનમાં સામેલ થયા હતા. તેઓ રેલીમાં પણ જાેડાયા હતા, પરંતુ કોંગ્રેસના ખેસ વિના જ પક્ષના કાર્યક્રમમાં સામેલ થયેલા હાર્દિકે આ બાબતે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. હાલમાં જ હાર્દિકે પોતાનો વોટ્સએપ પ્રોફાઈલ પિક્ચર પણ ચેન્જ કર્યો છે.
નવા ફોટોમાં હાર્દિક પટેલે કેસરી ખેસ ધારણ કર્યો છે, તેવામાં તેઓ ભાજપમાં ખરેખર જઈ રહ્યા છે કે કેમ તેવી અટકળો વધુ પ્રબળ બની છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ પાટીદાર અનામત આંદોલન દરમિયાન વિસનગરના તત્કાલિન ધારાસભ્ય અને હાલના મંત્રી એવા ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડ કરવાના કેસમાં સુપ્રીમે હાર્દિકને નીચલી કોર્ટે ફટકારેલી સજા પર સ્ટે આપ્યો છે. જેનાથી તેમનો ચૂંટણી લડવાનો રસ્તો સાફ થઈ ગયો છે. ખુદ હાર્દિક પટેલ પણ ચૂંટણી લડવાની ઈચ્છા જાહેર કરી ચૂક્યા છે.
પોતે કોંગ્રેસ છોડી ભાજપમાં જાેડાશે કે કેમ તે સવાલનો જવાબ આપતા હાર્દિકે શુક્રવારે એવું નિવેદન આપ્યું હતું કે તેનો ભાજપમાં જાેડાવાનો કોઈ ઈરાદો નથી. જાે તે આવો કોઈ રાજકીય ર્નિણય લેશે, તો તેની જાણ ચોક્કસ કરશે. જાે પ્રજાના હિતમાં તેમ કરવું પડે તો તેની જાહેરાત કરતા પોતાને કોઈ ખચકાટ નહીં થાય. હાર્દિકે તો ત્યાં સુધી કહ્યું હતું કે તેના દરેક ર્નિણયમાં લોકોનું હિત પહેલા હોય છે.
૨૦૧૯માં થયેલી લોકસભા ચૂંટણી લડવા માટે પણ હાર્દિકે તમામ પ્રયાસ કર્યા હતા. એક તબક્કે તો તેઓ જામનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાના છે તેવી જાેરદાર અટકળો હતી.
જાેકે, વિસનગરના કેસમાં થયેલી બે વર્ષની સજા પર હાઈકોર્ટમાંથી તાત્કાલિક રાહત ના મળતા હાર્દિકની ચૂંટણી લડવાની ઈચ્છા પર પાણી ફરી વળ્યું હતું. હાર્દિક પટેલ પોતે મૂળ વિરમગામના રહેવાસી છે. આ બેઠક પર ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્યનો વિજય થયો હતો. તે પહેલા પણ આ બેઠક કોંગ્રેસના જ કબજામાં હતી. જાેકે, ૨૦૧૨ની ચૂંટણીમાં જીતેલા કોંગ્રેસના ધારાસભ્ય ડૉ. તેજસ્વિની પટેલ ૨૦૧૭ની ચૂંટણી પહેલા કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જાેડાઈ ગયા હતા. તેઓ વિરમગામ બેઠક પરથી ભાજપની ટિકિટ પર વિધાનસભા ચૂંટણી લડ્યા હતા, જેમાં કોંગ્રેસના ઉમેદવાર લાખાભાઈ ભરવાડ સામે તેમની હાર થઈ હતી.