ચાર દિવસ અગાઉની જ વાત છે કે ખેડા જિલ્લાના માતર તાલુકાના ઉંઢેલા ગામમાં રાત્રીના ગરબા દરમ્યાન કોઇ એક ટોળાંએ જોરદાર પથ્થરમારો કર્યો હતો. જેમાં 6 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટના બાદ ગામમાં ‘ભારેલા અગ્નિ’ જેવી સ્થિતિ સર્જાઇ ગઇ હતી. ત્યારે હવે આ ઘટનાને લઈ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આજકાલ માનવ અધિકાર વાળા બહુ નીકળ્યા છે. પથ્થર મારનાર માટે જ કેમ માનવ અધિકારની વાત કરવામાં આવે છે? શું માનવતા ફકત પથ્થર મારવાવાળા પર જ હોય? બધા ગરબા રમ્યા પણ કોઈને તકલીફ પડી નહીં. શું આપણે આપણા ગામ અને ચોકમાં પણ ગરબા ન રમી શકીએ? પથ્થર મારવાવાળાઓનો કોઈ ધર્મ ન હોય. પથ્થર મારવાવાળા લોકોને માનવ અધિકાર હોય? તેનો જવાબ આપવાનો સમય હવે આવી ગયો છે.
હાલમાં માહોલ એવો છે કે આખુંય ગામ પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું હતું. આ ઘટનામાં પોલીસે 43 લોકો વિરુદ્ધ નામ જોગ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે 10થી 11 લોકોની અટકાયત કરવામાં આવી હતી. ખેડાના ઉંઢેલા ગામમાં ગરબા રમતી વેળાએ કોઇ એક સમુદાયના ટોળાંએ પથ્થરમારો કર્યા બાદ આખા રાજ્યના વાતાવરણમાં ભારે તંગદિલી સર્જાઇ હતી. આ ઘટના બાદ પોલીસે આરોપીઓને ગામમાં લાવીને એક બાદ એકને થાંભલા સાથે બાંધીને તેઓની જાહેરમાં સરભરા કરી હતી. મહત્વનું છે કે, પોલીસની આ કાર્યવાહી જોવા માટે ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થઈ ગયા હતા. ત્યારે હવે આગળ આવી ઘટના ન બને એ માટે પોલીસ કેવા પગલાં ભરે છે એ જોવાનું રહ્યું.