રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગની આગાહી (Gujarat Weather) સામે આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ આગામી દિવસોમાં તાપમાનને લઇને માહિતી આપી હતી. તેમના જણાવ્યા અનુસાર, રાજ્યના હવામાનમાં એકાદ-બે ડિગ્રીથી વધુ ફેરફાર થવાની કોઇ શક્યતા નથી. સાથે જ અમદાવાદના તાપમાનમાં કોઇ ફરફાર થવાની સંભાવના જોવા મળતી નથી.
હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, અમદાવાદના તાપમાનમાં ફેરફારની કોઇ સંભાવના નથી. અમદાવાદમાં હિટ એક્શન પ્લાન હેઠળ આજે એલર્ટ રહેશે. જ્યારે કાલે યલો એલર્ટ ન પણ રહે. જોકે, 19 તારીખે ફરી યલો રહેવાની સંભાવના છે. બીજી બાજુ, રાજ્યમાં બે-ત્રણ દિવસ બાદ તાપમાન યથાવત રહેશે એટલે સ્થિર રહેવાની સંભાવના છે. અત્યારે તાપમાન સામાન્ય કરતાં એકાદ ડિગ્રી વધુ છે તે ઘટીને નોર્મલ થવાની સંભાવના છે.
બીજી બાજુ, કાળઝાળ ગરમી વચ્ચે પણ કમોસમી વરસાદ યથાવત જોવા મળ્યો છે. ભાવનગરમાં અચાનક વાતાવરણમાં પલટા આવતા વરસાદ વરસ્યો છે. વીજળીના કડાકા સાથે પડેલા વરસાદના કારણે ભાવનગરવાસીઓને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી હતી. 39.5 ડિગ્રી તાપમાન વચ્ચે માવઠું થતાં શહેરીજનોને ભયંકર બફારા અને તાપમાંથી થોડા સમય માટે રાહત મળી છે.
રાજ્યમાં તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાયો હતો. તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો હતો. અમદાવાદમાં સૌથી વધુ 41.5 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 41.4 ડિગ્રી તાપમાન, સુરેન્દ્રનગરમાં 40.8 ડિગ્રી તાપમાન, પાટણમાં 39.8 ડિગ્રી, રાજકોટમાં 39.5 ડિગ્રી, ભાવનગરમાં 39.5 ડિગ્રી, અમરેલીમાં 39.4 ડિગ્રી, વડોદરામાં 39.2 ડિગ્રી, ડીસામાં 39.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
હાલ રાજ્યમાં અમુક જગ્યાએ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ સંદર્ભે તેમણે જણાવ્યું હતું કે, પશ્ચિમ તરફથી હવા ચાલી રહી છે. જેના લીધે વાદળ બને છે. જોકે, આ વાદળોને લીધે વરસાદ પડવાની સંભાવના નથી. માત્ર વાદળ બનશે અને તે દૂર થઇ જશે.કાલથી રાજ્યના વાતાવરણમાં થોડો ફેરફાર જોવા મળી રહ્યો છે. ક્યાંક ગરમીમાં થોડી રાહત અનુભવાઇ રહી છે, તો ક્યાંક પવન ફૂંકાઇ રહ્યા છે. આ મામલે મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, હાલ હવાને કારણે ગુજરાતમાં તાપમાન ઘટ્યું છે. જ્યારે એક-બે ડિગ્રી તાપમાન ઘટવાની સંભાવના છે.