નવરાત્રીના દિવસોમા શક્તિની ભક્તિની અનોખી રીતે આરાધનાનો એક કિસ્સો સામે આવ્યો છે. બનાસકાંઠાના પાલનપુર નજીક આવેલા દલવાડા ગામના સુરેશભાઈ ચૌહાણ માતાજીના ભકત છે અને આ દિવસો દરમિયાન તેઓ ઝાડ ઉપર દોરડું બાંધીને નવ દિવસ એક પગે ઉભા રહે છે અને નકરોડા ઉપવાસ કરી ભક્તિ કરે છે. નવ દિવસ એક પગે ઉભા રહીને ભક્તિ કરતા ભક્તને જોવા અહી લોકોની ભીડ જામે છે.
મળતી માહિતી મુજબ તૈઓ છેલ્લા 17 વર્ષથી આ જ રીતે નવરાત્રીના નવે નવ દિવસ એક પગે ઉભા રહી માતાજીની આરાધના કરી રહ્યા છે. સુરેશભાઈનુ માનવુ છે કે આમ એક પગે ઉભા રહેવાથી તેમનું મનોબળ મજબૂત બને છે.
સુરેશભાઈ જ્યારે 18 વર્ષના હતા ત્યારથી જ નવરાત્રી દરમિયાન 24 કલાક ઝાડ પર દોરડું બાંધીને એક પગે ઉભા રહે છે.
આ અંગે વાત કરતા સુરેશભાઇની પત્ની મધુબેન ચૌહાણે કહ્યુ કે હું મારા પતિની ભક્તિના કારણે ધન્યતા અનુભવું છું. જ્યારે ગામના એક સ્થાનિકે જણાવ્યું કે, સુરેશભાઈની આવી આકરી તપસ્યા જોઈને ગામના લોકો અહીં આવે છે અને માતાજીની પૂજા અર્ચના કરીને ધન્યતા અનુભવે છે.