તહેવારો આજે પણ ભારતમા પરંપરાગત રીતે ઉજવવામા આવે છે. વર્ષો જૂની રીતો આજે પણ કરે છે. આજે અહી આવી જ એક પરંપરા ચાલી આવતી રીત અંગે વાત કરવામા આવી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાના રણકાંઠા વિસ્તારમાં પાસે ધામા ગામ આવેલુ છે. આ ગામમાં બેસતા વર્ષે ગાયો દોડાવવાની પરંપરા ૧૦૦ વર્ષથી ચાલી આવી રહી છે અને આજે પણ આ જૂની ગોવાળોનો સમૂહ પોતાના પોષાક પહેરીને પૂરી કરે છે.
આ અંગે વિગતે વાત કરીએ તો આ ધામા ગામમાં બેસતા વર્ષના દિવસે ગાયો દોડાવવાની પ્રથા છે અને તે આ ગામનુ બેસતા વર્ષનું સૌથી મોટું આકર્ષણ પણ છે. આ પ્રથા પાટડી તાલુકાના વડગામ, આદરીયાણા જેવા ગામોમાં પણ જોવા મળે છે. ગામના આગેવાને આ અંગે વાત કરતા કહ્યુ કે સવારે ૧૦ વાગે ગામની વિવિધ કોમના આગેવાનો ભેગા થઇ નવા વર્ષની ખેતીના લેખા જોખા તથા ગ્રામ વિકાસની ચર્ચા કરે છે જેને ગામેરુ કહેવામાં આવતું જેને આજકાલ ડાયરો પણ કહેવામાં આવે છે. અહીં આવી લોકો પોતાની રસપ્રદ વાતો અને ગ્રામ વિકાસ માટેના મંતવ્યો રજૂ કરે છે.
આગળ વાત કરતા તેમણે કહ્યુ કે ડાયરાનો વિશાળ સમૂહ વાગતા ઢોલે ગામના ચોરામાથી ગામના પાદરે આવી ગાયો દોડવાની પરંપરા નિહાળે છે. નાના મોટા સૌ ફટાકડા ફોડીને ગાયોના ટોળાના થતા આગમનને વધાવે છે. સમગ્ર વાતાવરણ હર્ષની ચિચિયારીઓથી ગુંજી ઉઠે છે. એક સમયે ઘોડા, ઉંટ જેવા પ્રાણીઓ પણ દોડાવવામાં આવતા પણ આજે માલધારી સમાજના ગોવાળાના ઝુંડ પરંપરાગત પોષાક પહેરીને ગાયોના ધણની આગળ અને પાછળ દોડ લગાવે છે. ગોવાળો અદ્ભૂત સંયમથી ગાયોને કંટ્રોલ કરે છે.
આ બાદ ગાયોની રજ શ્રધ્ધાળુઓ માથે ચડાવીને નવા વર્ષના શુકન લે છે, ગ્રામજનો ફાળો ઉઘરાવીને ગાયોેને ઘાસચારો ખવડાવે, શુભેચ્છા આપે અને ગામમાં મેળાવડા જેવો માહોલ જામે છે.