ગીરસોમનાથ ભોજદે ગીર ગામમાં ચાલતા કુટણખાનાના સ્થળ પરથી બે યુવતીઓને મુક્ત કરાવવામાં આવી છે. વિશ્વ પ્રખ્યાત સાસણ ગીર નજીકના ભોજદે ગીરના એક ફાર્મ હાઉસમાં ચાલતા કુટણખાનામાં ડમી ગ્રાહકને મોકલી એએસપીએ એલસીબીને સાથે લઈ દરોડો પાડી બે યુવતીઓને છોડાવેલ હતી. જ્યારે ફાર્મ હાઉસમાંથી સુરતના બે દલાલો અને દેહવિક્રયનો વેપલો ચલાવતા મેંદરડા અને વિસાવદરના એક-એક મળી કુલ ચાર શખ્સોને ઝડપી કુટણખાનાનો પર્દાફાશ કર્યો હતો. આ ગેરકાયદેસર ચાલતા કુટણખાના મામલે એલસીબીએ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટની કલમો હેઠળ પકડાયેલા ચારેય આરોપીઓ તથા ફરાર થઈ ગયેલા ફાર્મ હાઉસના માલિક મળી પાંચ શખ્સો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની દરોડાની કાર્યવાહીના પગલે ગીર પંથકમાં ચકચાર પ્રસરી ગઈ છે.
ગીર જંગલ અને સિહોનો રહેઠાણના લીધે વિશ્વમાં પ્રખ્યાત થયેલ સાસણ ગીર અને તેની આસપાસના ગામોમાં મોટાપાયે વિકસેલ ફાર્મ હાઉસોમાં ચાલતી બેફામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા પોલીસ વારંવાર દરોડા પાડે છે. આવી જ વધુ એક કાર્યવાહી કરવામાં આવી છે. જે અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગીર પંથકના ફાર્મ હાઉસોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા સબબ એલસીબીના નરેન્દ્ર કછોટ, ભાવેશ મોરી, નરેન્દ્ર પટાટ, વીરા ચાંડેરા સહિતના ચેકીંગની કામગીરી કરી રહ્યા હતા. ત્યારે સાસણ નજીકના ભોજદે ગીર ગામના એક ફાર્મ હાઉસમાં કુટણખાનું ચાલતું હોવાની માહિતી મળી હતી. જે અંગે સ્ટાફએ ઉચ્ચ અધિકારીને જાણ કરતા એએસપી ઓમપ્રકાશ જાટ અને એલસીબીના પીએસઆઈ કે.જે.ચૌહાણ ભોજદે દોડી ગયા હતા.
ટીમ પાસેથી મળેલ માહિતી વેરીફાઈ કરાવતા સાચી હોવાનું જણાયેલ હતુ. જેથી એક ડમી ગ્રાહકને તૈયાર કરી ભોજદે ગીર ગામના સીમ વિસ્તારમાં આવેલ રૂદ્ર ફાર્મ હાઉસમાં મોકલેલ હતો. જ્યાં માહિતી મુજબની હક્કીત હોવાથી એએસપી જાટને મેસેજથી જાણ કરી હતી. બાદમાં એએસપીએ પોલીસ સ્ટાફ સાથે રૂદ્ર ફાર્મ હાઉસમાં દરોડો પાડી તપાસ કરાવતા એક રૂમમાંથી ડમી ગ્રાહક સાથે યુવતી મળી આવેલ તેમજ ત્યાં બે દલાલો અને વેપલો ચલાવતા બે શખ્સો મળી આવતા ચારેયની અટક કરી પૂછપરછ હાથ ધરી હતી.
આર્થિક લાભ માટે મેંદરડાના કૃણાલ વિનોદ રાજાણી તથા વિસાવદરના દાદર ગીરના વિશાલ જેન્તી ડોબરીયાને ફાર્મ હાઉસ ભાડે આપેલ હતુ.
આ બંન્ને શખ્સોએ કુટણખાનું ચલાવવા સુરત રહેતા દલાલ પરેશ રણછોડ ગઢીયા તથા રવિ બાગસી ઉપાધ્યાય પાસેથી બહારગામથી યુવતીઓને બોલાવી દેહવેપાર કરાવતા હતા. જેમાં એક ગ્રાહકને યુવતી સાથે શરીર સંબંધ બાંધવાના રૂ.૨ હજાર લેતા હતા. જેમાંથી રૂ.૧૦૦૦ ભોગ બનનાર યુવતીને આપતા જ્યારે રૂ.૫૦૦ રૂમના ખર્ચ પેટે અને રૂ.૫૦૦ દલાલીના રાખતા હતા. આ રીતે ફાર્મ હાઉસની ઓથ હેઠળ ગેરકાયદેસર રીતે કુટણખાનું ચલાવતા હતા. આ કુટણખાનામાં રહેલ બે ભોગ બનનાર યુવતીઓને છોડાવવામાં આવી છે. આ મામલામાં સ્થળ પરથી પકડાયેલ સુરતના બંન્ને દલાલો તથા વિસાવદર અને મેંદરડાના શખ્સ ઉપરાંત ફાર્મ હાઉસના માલિક મળી પાંચેય શખ્સો સામે ઇમોરલ ટ્રાફિક પ્રિવેનશન એકટ ૧૯૫૬ની કલમ ૩, ૪, ૫ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.