ધંધુકા અને બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડમાં ૩૦ લોકોના મોતનો મુખ્ય સૂત્રધાર જયેશ ખાવડીયા અને દિનેશ ઉર્ફ બંટી રાજપૂત પકડાયા છે. ક્રાઇમબ્રાન્ચે બન્ને આરોપીને બોટાદ પોલીસને સોંપવા તજવીજ કરી છે. જ્યેશે તેના ફોઈના પુત્ર સંજયને ૬૦૦ લીટર મિથેનોલ આલ્કોહોલ કેમિકલ ૪૦૦૦૦ હજારમાં વેચાણ આપ્યું હતું. બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના નભોઈ ગામે દેશી દારૂ પીવાથી ૩૦ લોકોના મોત થયા હતા. બોટાદ અને ધંધુકામાં આ લઠ્ઠાકાંડને કારણે અનેક લોકો હજુ પણ હોસ્પિટલમાં જીવનમરણ વચ્ચે ઝઝૂમી રહ્યા છે.
લઠ્ઠાકાંડને પગલે ટપોટપ લોકોના મોત થવાની ઘટનાને ઉચ્ચ અધિકારીઓ એફએસએલની મદદથી તપાસ કરાવતા દેશી દારૂમાં મિથેનોલ કેમિકલને પગલે લઠ્ઠાકાંડ થયાનું ખુલ્યું હતું. બોટાદ જિલ્લાના બરવાળા પોલીસ સ્ટેશનમાં ૨૬ જેટલા આરોપીઓ સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે આઇપીસીની કલમ ૩૦૨, ૩૨૮, ૧૨૦(બી) અને પ્રોહી એકટની કલમ ૬૭ (૧)એ મુજબની કલમો ફરિયાદમાં દાખલ કરી છે.
દેશી દારૂમાં મિથેનોલ આલ્કોહોલ કેમિકલ બુટલેગરો સુધી જયેશ ખાવડીયા થકી પહોંચ્યાંની વિગત મળી હતી. જેના પગલે ક્રાઇમબ્રાન્ચે ધંધુકાના સાલાસર ગામના જયેશ રમેશભાઈ ખાવડીયા અને તેના સાગરીત દિનેશ ઉર્ફ બંટી રાજપૂતને ઉપાડ્યા હતા. પીપળજના દેવરાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં એમોસ કોર્પોરેશન કંપનીમાં જયેશ લેબર કોન્ટ્રેકટર કમ ઇન્ચાર્જ તરીકે કામ કરતો હતો. આ કંપનીમાંથી જયેશે તેના કામ દરમિયાન કેમિકલ કાઢ્યું હતું.
જયેશ એમોસ કંપનીમાં ચાંગોદરની ફીનાર કંપની દ્વારા સપ્લાય થતા મિથેનોલ આલ્કોહોલ કેમિકલને બેરલમાંથી કાઢી અઢી લીટરની કાચની બોટલમાં ભરી બોટલિંગ એન્ડ ક્રિમ્પલિંગનું જાેબ વર્ક કરતો હતો. બેરલમાંથી કેમિકલ કાઢી બોટલમાં ભરતા પહેલા આ જ કેમિકલથી તેણે વોશ કરવું પડે છે. આ પ્રોસેસ દરમિયાન જ્યેશે મિથેનોલનો જથ્થો સંગ્રહ કરી ૬૦૦ લીટર જેટલું કેમિકલ કાઢ્યંૂ હતું. જ્યેશે આ કેમિકલ બોટાદના નભોઈમાં રહેતા ફોઈ કંચનબહેનના પુત્ર સંજયને આપવાનું નક્કી કર્યું હતું.
આરોપીએ તેના સાગરીત બંટી આઠે મળી ચાર માસમાં એકત્ર કરેલ ૬૦૦ લીટર કેમિકલના ત્રણ કેરબા મિત્ર ગોપાલ ભરવાડના ટેમ્પામાં મુકાવી ડીલીવરી કરવા ગયા હતા. જયેશ અને બંટી બન્ને જણા ટેમ્પોમાં કેમિકલ ભરી ગત તા.૨૨મીના રોજ સાંજેના ૫ વાગ્યે કમોડ, ધોળકા, બગોદરા, ધંધુકા, તગડી થઈ ભલગામડા કેનાલ પર પહોંચ્યા હતા. જે સ્થળે સંજયને બોલાવી આરોપીઓએ મિથેનોલ કેમિકલનો જથ્થો આપ્યો હતો.
બોલેરો ગાડીમાં આ જથ્થો આરોપીઓએ સંજય સાથેના અન્ય માણસોને મદદ કરી ગાડીમાં મુકાવ્યો હતો. જ્યેશે ૬૦૦ લીટર કેમિકલનો જથ્થો સંજય ભીખાભાઇ કુમારખાણીયાને વેંચી રૂ.૪૦ હજાર લીધા હતા. આ ઉપરાંત આરોપીએ ભાડાના ૧૫૦૦ બીજા લીધા હતા. આ કેમિકલ સપ્લાય થયાના ૪ દિવસમાં લઠ્ઠાકાંડ થયો હતો. ક્રાઇમબ્રાન્ચે જયેશ ખાવડીયા અને બંટી રાજપૂતની પૂછપરછ કરી તેમાં આ સમગ્ર ઘટસ્ફોટ થયો હતો. બન્ને આરોપીઓને વધુ તપાસ માટે બોટાદ પોલીસને સોંપવા કાર્યવાહી કરાઈ છે. આ ગુનામાં નભોઈમાં કેમિકલ સપ્લાય કરનાર સંજયની તપાસ ચાલુ છે.