રાજ્યમાં મેધરાજાએ છેલ્લા થોડા દિવસોથી ધબધબાટી બોલાવી દીધી છે. આખુ ગુજરાત પાણી પાણી થઈ ગયુ છે.. બીજી તરફ હવામાન વિભાગે હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે અને સુરત, ડાંગ, છોટા ઉદેપુર, તાપી, વલસાડ, નર્મદા અને ભરૂચમાં રેડ અલર્ટ જાહેર કરાયુ છે.
આ સ્થિતિને જોતા પંજાબથી NDRFની 5 ટીમો આવી છે જેને તાપી, ભરૂચ, સુરત, નવસારી અને વડોદરામાં ડીપ્લોય કરી દેવામાં આવી છે.
મળતી માહિતી મુજબ છેલ્લા 24 કલાકમાં ડેડીયાપાડામાં સૌથી વધુ 18 ઈંચ વરસાદ, ઉમરપાડામાં 14 ઈંચ, તિલકવાડામાં 11 ઈંચ વરસાદ વરસ્યો છે.
હાલની સ્થિતિ અંગે માહિતી આપતા રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યુ છે કે ‘તંત્ર રાહત બચાવની કામગીરી ખુબ ઝડપથી કરી રહ્યું છે. અત્યાર સુધી 10674 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે બચાવાયેલા લોકો માંથી 6853 લોકો હેમખેમ પોતાને ઘરે પરત ફર્યા છે. ‘ આ સાથે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
આ સાથે કયા દિવસે ક્યા વરસાદની આગાહી છે તે વિશે વાત કરીએ તો, 12 જુલાઈએ અમદાવાદ, સુરત, વલસાડ, ડાંગ, તાપી, નવસારી, ભરૂચ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, વડોદરા, આણંદમા મેધમહેર જોવા મળશે. 13 જુલાઈએ સુરત, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢમા વરસાદ પડશે.
14 જુલાઈએ અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, વલસાડ, સુરત, ભરૂચ. આણંદમા મેધરાજાના આગમનની શકયતા છે. 15 જુલાઈએ જામનગર, ભાવનગર, ગીરસોમનાથ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, વલસાડ, સુરત, ભરૂચ, આણંદમા વરસાદ ખાબકશે.