હળવદના રણછોડગઢ ગામે એક વર્ષ પહેલા પુરના પ્રવાહમાં તણાઈ ગયેલ નાણાં ભરેલ ડબ્બો આજે માલધારીઓને મળતા મૂળમાલિકને પરત કર્યો હતો. એક વર્ષ પહેલા ડબ્બો પરત મળવાની આશા છોડી દેનાર મૂળમાલિક પણ ડબ્બો મેળવી આશ્ચર્યમાં મૂકાયા હતા. પરસેવાની હક્કની કમાણી ક્યારેય ફોગટ નથી જતી. આવા જ એક અનોખા અને અજીબો ગરીબ કિસ્સામાં હળવદ તાલુકાના રણછોડગઢ ગામે સામે આવ્યો છે.
ગત વર્ષે ભારે વરસાદમાં ઝુંપડા સહિતની ઘરવખરી સાથે જમીનમાં દાટેલા રૂપિયા ભરેલો ડબ્બો પણ તણાઈ ગયા બાદ આજે એક વર્ષ બાદ આ ડબ્બો રણછોડગઢ નજીકના સરંભડા ગામના માલધારી યુવાનોને મળતા ખરાઈ કરી મૂળ માલિકને પરત સોંપ્યો હતો.આ અજીબો ગરીબ કિસ્સા અંગે જાણવા મળતી વિગતો મુજબ, ગત વર્ષે ભારે વરસાદ પડતા હળવદ તાલુકાના રણછોડગઢ ગામે રહેતા મુન્નાભાઈ જહાભાઈ ઠાકોરની વાડીએ ઝુંપડા સહિતની ઘરવખરી તણાઈ ગઈ હતી આ સાથે જ તેમને ઘર પાસે દાટેલો રૂપિયા ભરેલો ડબ્બો પણ પાણીમાં તણાઈ ગયો હતો. આ ઘટના અંગે મુન્નાભાઈએ આજુબાજુના ગામના લોકોને પણ જાણ કરી હતી.
મંગળવારે ભારે વરસાદ પડ્યા બાદ ડબ્બો તણાઈ આવ્યોગઈ કાલે હળવદ તાલુકાના સુંદરીભવાની, રણછોડગઢ સરંભડા વગેરે ગામોમાં ભારે વરસાદ પડતા એક વર્ષ પહેલા પાણીમાં તણાઈ ગયેલો રૂપિયા ભરેલો ડબ્બો સરંભડા ગામના તળાવ નજીક તણાઈને આવી પડ્યો હતો. આજે સવારે માલધારીઓ પોતાના માલઢોર લઈને સીમમાં ચરાવવા જતા આ ડબ્બો નજરે પડતા ડબ્બો ખોલતા અંદરથી ૨૨,૦૦૦ રૂપિયા મળી આવ્યા હતા.
માલધારીઓએ ખરાઈ કરી મૂળ માલિકને ડબ્બો પરત કર્યોમાલધારી સમાજના મુકેશભાઈ દોરાલા અને ગોપલભાઈ સરૈયા સહિતના યુવાનોને નાણાં ભરેલો ડબ્બો મળતા જૂની વાત યાદ કરી રૂપિયા ભરેલો ડબ્બો જે કોઈનો હોય તેમને ખાતરી આપી લઈ જવા અનુરોધ કરતા ગરીબ પરિવારના મુન્નાભાઈ ઠાકોર સરંભડા પહોંચ્યા હતા. અને ખાતરી આપી પોતાની પરસેવાની કમાણી એક વર્ષ બાદ પરત મેળવી ખુશી મેળવી હતી.