એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. મોરબીમાં રવિવારે સાંજે એક મોટો અકસ્માત સર્જાયો હતો. અહીં મચ્છુ નદીમાં બનેલો કેબલ બ્રિજ અચાનક તૂટી જતાં 400થી વધારે લોકો નદીમાં પડી ગયા હતા. લોકોને નદીમાંથી બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. આ પુલ તાજેતરમાં નવીનીકરણ બાદ કાર્યરત કરવામાં આવ્યો હતો.
પુલ તૂટી પડવાને કારણે 400થી વધારે લોકો નદીમાં ખાબક્યા છે. એમાં 10થી વધુના મોતની આશંકા સેવાઇ રહીં છે. તો અનેક લોકો પુલને પકડીને પોતાનો જીવ બચાવવા લટકયા હતાપરંતુ ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર અકસ્માત સમયે પુલ પર મોટી સંખ્યામાં લોકો હાજર હતા. બચાવ કાર્યમાં સ્થાનિક લોકો પણ પોલીસ અને પ્રશાસનને મદદ કરી રહ્યા છે. કેબલ બ્રિજ ઘણો જૂનો હોવાનું કહેવાય છે. રિનોવેશન બાદ માત્ર 5 દિવસ પહેલા જ તેની શરૂઆત કરવામાં આવી હતી. રિનોવેશન બાદ પણ આટલા મોટા અકસ્માત બાદ હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે.
આ પુલનું સમારકામ છેલ્લા 7 મહિનાથી ચાલી રહ્યું હતું. રિનોવેશનનું કામ એક ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. આટલા લાંબા સમય બાદ પુલ ખુલ્લો મુકાયો હોવાના કારણે રવિવારે મોટી સંખ્યામાં લોકો તેમના પરિવારજનો સાથે તસવીરો અને સેલ્ફી લેવા પુલ પર પહોંચ્યા હતા. દુર્ઘટના બાદ કેબલ બ્રિજની ઘણી તસવીરો સામે આવી છે, જેમાં જોવા મળી રહ્યું છે કે બ્રિજ વચ્ચેથી તૂટીને નદીમાં ખાબક્યો છે. પુલ ધરાશાયી થયા બાદ ઘણા લોકો અધવચ્ચે પણ ફસાયા છે જેઓ તૂટેલા પુલને પકડીને કોઈક રીતે બચવાનો પ્રયાસ કરી રહ્યા છે.
PM @narendramodi spoke to Gujarat CM @Bhupendrapbjp and other officials regarding the mishap in Morbi. He has sought urgent mobilisation of teams for rescue ops. He has asked that the situation be closely and continuously monitored, and extend all possible help to those affected.
— PMO India (@PMOIndia) October 30, 2022
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબીમાં થયેલા અકસ્માત અંગે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી હતી. તેમણે બચાવ કામગીરી માટે ટીમોને તાત્કાલિક એકત્ર કરવા જણાવ્યું છે. પીએમ મોદીએ પણ પરિસ્થિતિને નજીકથી અને સતત મોનિટર કરવા અને અસરગ્રસ્ત લોકોને શક્ય તમામ મદદ આપવાનું કહ્યું છે. પીએમ મોદીએ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી આપવાની જાહેરાત કરી છે.
મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનાથી અત્યંત વ્યથિત છું. તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી ચાલુ છે. ઇજાગ્રસ્તોને સત્વરે સારવારની વ્યવસ્થા માટે તંત્રને સૂચના આપી છે. આ સંદર્ભે જિલ્લાતંત્ર સાથે સતત સંપર્કમાં છું.
— Bhupendra Patel (@Bhupendrapbjp) October 30, 2022
ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ઘાયલોની તાત્કાલિક સારવારની વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે. આ બાબતે હું જિલ્લા વહીવટીતંત્રના સતત સંપર્કમાં છું.
ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ‘PM નરેન્દ્રભાઈ મોદીએ મોરબીની દુર્ઘટના વિશે મારી સાથે વાત કરી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. વડા પ્રધાને સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી છે અને બચાવ કામગીરી અંગે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું છે.
गुजरात से बेहद दुःखद खबर मिल रही है। मोरबी में ब्रिज टूट जाने से कई लोगों के नदी में गिर जाने की खबर है। भगवान से उनकी जान और स्वास्थ्य की प्रार्थना करता हूँ।
— Arvind Kejriwal (@ArvindKejriwal) October 30, 2022
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ટ્વીટ કરીને દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું, ‘ગુજરાતમાં દુર્ઘટનાના ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા. મોરબીમાં પુલ ધરાશાયી થવાના કારણે અનેક લોકો નદીમાં પડ્યા હોવાના અહેવાલ છે. હું તેમના જીવન અને સ્વાસ્થ્ય માટે ભગવાનને પ્રાર્થના કરું છું.
જણાવી દઈએ કે આ પહેલા 14 ઓક્ટોબરના રોજ ભારે વરસાદને કારણે દક્ષિણ ગોવાના દૂધસાગર ધોધ પરનો કેબલ બ્રિજ તૂટી પડ્યો હતો. તેની ઝપેટમાં આવેલા 40થી વધુ પ્રવાસીઓનો કોઈ રીતે બચાવ થયો હતો.