Gujarat News: બોલિવૂડમાં તમે વિવાહ અને હમ સાથ સાથ હે ફિલ્મ જોઈ જ હશે. બસ કંઈક એવું જ જોવા મળવાનું છે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં… સિદ્ધાર્થ ત્રિવેદીના ડાયરેક્શનમાં અને રૂપેશ મહેતા ( Reel book Films ) નિર્મત ફિલ્મ મારું મન તારું થયું આવતી 10 મે 2024 અને શુક્રવારના રોજ સિનેમા હાઉસમાં દસ્તક દેવા જઈ રહી છે. ગુજરાતી ચાહકોએ જ્યારથી આ ફિલ્મનું ટ્રેલર જોયું ત્યારથી જ ઉત્સુકતા હાઈ લેવલ પર છે. અભિનેતા ભરત ચાવડા અને અભિનેત્રી હિના જયકિશને પણ દમદાર રોલ પ્લે કરીને પોતાનો જીવ રેડી દીધો છે. ફિલ્મની સમગ્ર ટીમ અને દર્શકોને પણ આશા છે કે આ ફિલ્મમાં ગુજરાતી સિનેમાનો ઈહિતાસ સર્જાશે.
પોળીની વાતો, જીવનમાં સંબંધ અને લગ્નનું મહત્વ, માતા પિતાની પોતાના સંતાનો પ્રત્યેની ફરજ, યુવાન અને યુવતીઓને પાર્ટનર સિલેક્ટ કરતી વખતે ધ્યાન રાખવાની વાતો અને રોમાન્સથી ભરપૂર… આવી રીતે ફુલ ધમાકા ફિલ્મ ‘મારું મન તારું થયું’ સિનેમામાં આવે એ પહેલા જ લોકોના દિલ પર છવાઈ ગઈ છે. ત્યારે આ ફિલ્મના મીડિયા પાર્ટનર લોક પત્રિકા દૈનિકે ફિલ્મની કાસ્ટ સાથે સીધી વાતચીત કરી હતી.
પ્રોડ્યુસર તરીકે સારી છાપ ધરાવતા રૂપેશ મહેતા સાથે વાત કરતી વખતે લોક પત્રિકાને રૂપેશભાઈ જણાવ્યું કે મને પહેલાથી જ ફિલ્મોનો શોખ છે. હું કેનેડા અને યુએસમાં ઈવેન્ટ અને બોલિવૂડના શો પણ કરતો આવ્યો છું. મને પહેલાથી જ એક ગુજરાતી તરીકે ગુજરાતીને પ્રોત્સાહન આપવાની મારી ફરજ પુરી કરવાનો મારો નિયમ છે. એવામાં સિદ્ધાર્થભાઈ મારી પાસે ‘મારું મન તારું થયું’ ફિલ્મની સ્ક્રીપ્ટ લઈને આવ્યા અને મને ગમી એટલે હા પાડી દીધી. પહેલી જ વખત ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસ કરી રહ્યો છું. આ ફિલ્મ સંસ્કારી છે, સારી છે અને મ્યૂઝિક લવ સ્ટોરી ફૂલ ધમાકા ફિલ્મ છે. 100 ટકા ગુજરાતીઓ ફિલ્મ જોવા જશે એવી મને આશા છે.
મુખ્ય અભિનેતા અને ગુજરાતીઓના દિલ પર રાજ કરતા અભિનેતા ભરત ચાવડાએ લોક પત્રિકા સાથે વાત કરી કે મારો રોલ આ ફિલ્મમાં એવો છે કે આ છોકરા માટે સંબંધો જીવનમાં સૌથી પહેલા આવે છે. એમના કાકા સાથે રહે છે, કારણ કે એમના મમ્મી-પપ્પા નથી. સ્ત્રીઓ સાથે ખોટું થાય તો એ જોઈ નથી શકતો. જો મારે આ ફિલ્મને એક શબ્દમાં કહેવું હોય તો હું સપ્તપદી કહીશ. કારણ કે છોકરા છોકરીની કુંડળીમાં ગુણ જોવા કરતાં એમનામાં રહેલા ગુણ જો મેચ થાય તો જીવન સારી રીતે જીવી શકાય એવું આ ફિલ્મમાં સ્પષ્ટપણે બતાવ્યું છે. ફિલ્મ એકદમ પારિવારિક છે અને ખાસ કરીને આજના યુવાન-યુવતીઓ સહિત માતા-પિતાએ એકવાર જોવી જ જોઈએ.
ઢોલિવૂડ ક્વીન અભિનેત્રી હિના જયકિશને ફિલ્મ અને પોતાના રોલ અંગે લોક પત્રિકા સાથે વાત કરી કે મારો રોલ વેદિકાનો છે. હું પોળનું ધબકતું હદૃય છું. નાનાથી લઈને મોટા લોકોનો કોઈ પણ પ્રશ્ન હોય તો વેદિકા સમાધાન કરી આપે છે. એવામાં એમની મિત્રની સમસ્યાનું સમાધાન કરતી વેળાએ વેદિકાને પણ એક છોકરો મળે છે અને પ્રેમ થઈ જાય છે. પછી લગ્ન માટે આડે આવતા સામાજિક પરિબળો અને કેવી રીતે એમનું સમાધાન આવે એના વિશે ચર્ચા કરવામાં આવી છે. આ ફિલ્મ ઓલઓવર પેકેજ છે. લગ્નનું મહત્વ, ચાર ફેરા, છોકરીએ પતિમાં શું જોઈને સિલેક્શન કરવું વગેરે જેવી વાત કરવામાં આવી છે. આજની નવી પેઢીને માત્ર મનોરંજન નહીં પણ જીવનની સાચી સમજણ આપતી આ ફિલ્મ ગુજરાતીઓને 100 ટકા ગમશે.
‘મારું મન તારું થયું’ ફિલ્મના ડાયરેક્ટર સિદ્દાર્થ ત્રિવેદીએ લોક પત્રિકા સાથે વાત કરી કે આ ફિલ્મમાં લવ સ્ટોરી છે. પોળની છોકરીની વાર્તા છે. સામાજિક અને સારા મેસેજ સાથે ફિલ્મને ખુબ મહેનતથી બનાવી છે. આજની યુવાન-યુવતીને કેવું પાત્ર જોઈએ એના વિશેની સમજ છે. રોમાન્સ, ઈમોસન્સ બધી જ વસ્તુને કવર કરી છે. માતા-પિતાના ગેપને ઓછો બતાવ્યો છે પણ એ મુદ્દા પર ખુલીને વાત પણ કરી છે. આખી મ્યુઝિકલ ફિલ્મ બનાવી છે. જીવનના દરેક પ્રસંગોને આવરી લીધા છે. ગીત સારા છે. નાનાથી લઈને મોટા સુધી બધા જ માટે જરૂરી ફિલ્મ ‘મારું મન તારું થયું’ ગુજરાતીઓના માનસપટલ પર એક અલગ જ અસર છોડી જશે.