ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકાર 2.0 ની આજે શપથવિધિ યોજાઇ હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંતી અમિત શાહ, ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથ અને હરિયાણાના CM મનોહરલાલ ખટ્ટર તેમજ ગોવાના CM પ્રમોદ સાવંત, કર્ણાટકના CM બસવરાજ બોમાઈ, મધ્ય પ્રદેશના અને મહારાષ્ટ્રના CM તેમજ ઉત્તરાખંડના CM પુષ્કરસિંહ ધામી પણ શપથવિધિમાં હાજર રહ્યા હતા. ગુજરાતના 18માં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે આજે શપથગ્રહણ કર્યા છે. ભૂપેન્દ્ર પટેલની સાથે કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા છે. જોકે હવે આજે સાંજે નવા મંત્રીમંડળના સભ્યોને ખાતાઓની વહેંચણી કરવામાં આવશે. ત્યારે મુળુભાઈ બેરાનું નામ પણ કેબિનેટ મંત્રીમાં છે. તો આવો જાણી મુળુભાઈનું રિપોર્ટ કાર્ડ
મત ગણતરીના દીવસે ગુરુવારે સવારે આઠ વાગ્યાથી જિલ્લા ચૂંટણી અધિકારી એમ.એ.પંડ્યા તથા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની રાહબરી હેઠળ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આસ્થા ડાંગર, પ્રાંત અધિકારી પાર્થ કોટડીયા, પાર્થ તલસાણીયા, ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ વગેરે દ્વારા વિધાનસભાની ચૂંટણીની મતગણતરીનો પ્રારંભ થયો હતો. ચૂંટણીના પ્રારંભે ધીમી મત ગણતરીમાં ખંભાળિયા બેઠક માટેના પ્રથમ રાઉન્ડ બે રાઉન્ડમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારએ 2253 અને 3215 ની લીડથી ભાજપના ઉમેદવાર કરતા આગળ રહ્યા હતા.
જે સિલસિલો તેમણે ત્રીજા, ચોથા અને પાંચમા રાઉન્ડમાં કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ માડમ સાથે ટક્કર આપી અનુક્રમે 3823, 3769 અને 6408 મતની લીડથી બરકરાર રાખ્યો હતો. બાદમાં ખંભાળિયા શહેર વિસ્તાર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોની મત પેટીઓ ખુલતા આમ આદમી પાર્ટીની વધતી જતી લીડ સતત ઘટતી ગઈ હતી. જેમાં સાતમા અને આઠમા રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર મુળુભાઈ બેરા કરતા લીડ ઘટીને 4135 અને 1153 થઈ જવા પામી હતી. આ પછી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઈશુદાન ગઢવીના મત હરીફ ઉમેદવાર મુળુભાઈ બેરા કરતા ઘટતા જતા આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ચહેરા ઈશુદાન ગઢવીએ મતગણતરીના અંતે કુલ 59,089 મત મેળવ્યા હતા.
ખંભાળિયા ભાણવડ બેઠકના ઉમેદવાર મુળુભાઈ બેરા કે જે અગાઉ પણ ચાર ટર્મ સુધી ધારાસભ્ય રહી ચૂક્યા હતા. ઉપરાંત 2014માં તેઓ કોંગ્રેસના ઉમેદવાર સામે પરાજય પામ્યા હતા. તેઓએ આ ચૂંટણી જંગમાં મજબૂત ટક્કર આપી અને 77834 મત મેળવ્યા હતા. જ્યારે છેલ્લી બે ટર્મથી ખંભાળિયાના ધારાસભ્ય તરીકે ચુંટાતા કોંગ્રેસના વિક્રમભાઈ માડમએ 44715 મત મેળવ્યા હતા. આમ, ભાજપના ઉમેદવાર મુળુભાઈ બેરા વિજેતા બન્યા હતા. જ્યારે બીજા ક્રમે આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવી અને ત્રીજા ક્રમે કોંગ્રેસના ઉમેદવાર રહ્યા હતા. ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ ગાંધીનગર બોર્ડના ચેરમેન તરીકે પણ મુળુભાઈ બેરાએ ફરજ નિભાવી છે.