બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં ફરી એકવાર પાણી માટે જળ આંદોલન થયું છે. પાલનપુર તાલુકાના મલાણા ગામનું તળાવ ભરવાની માંગ સાથે આજે ૫ હજાર મહિલા પશુપાલકો તેમ જ ખેડૂતો સહિત ૧૦ જેટલા લોકોએ ૫ કિલોમીટર લાંબી પગપાળા રેલી યોજી પાલનપુર શહેરમાં જય જવાન જય કિસાનના નારા સાથે પાણી માટે માંગ ઉગ્ર બનાવી કલેકટરને આવેદનપત્ર આપી તાત્કાલિક ધોરણે તળાવ ભરવાની માંગ કરી છે.
ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ આજે પાલનપુર તાલુકા ૫૦ ગામોની ૫ હજાર મહિલા પશુપાલકો તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો પાણીની સમસ્યા મામલે પાલનપુરના બિહારી બાગ ખાતે એકઠા થયા હતા અને ત્યાંથી ૫ હજાર મહિલા પશુપાલકો અને ખેડૂતો સહિત ૧૦ હજાર જેટલા લોકોએ હાથમાં બેનરો લઈને ૫ કિમી લાંબી પદયાત્રા કરી ‘પાણી આપો પાણી આપો’ની માંગ કરી વિશાળ રેલી યોજી કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. વિવિધ નારાઓ લગાવી કલેક્ટર કચેરી ગુંજવી હતી.
ખેડૂતોની માંગ છે કે છેલ્લા કેટલાય સમયથી સરકાર પાસે ખેડૂતો પાણી માટેની માંગ કરી રહ્યા છે. પરંતુ તે માટે કોઈ નક્કર પગલાં ભરવામાં આવતા નથી. અગાઉ ખેડૂતોએ પદયાત્રા કરી ટ્રેક્ટર રેલી યોજી આવેદનપત્ર આપ્યું હતું. પરંતુ તે બાદ જે કાર્યવાહી થવી જાેઈએ તે નથી થઈ. જેથી આજે મહિલા પશુપાલકો પાણીની માંગ સાથે રસ્તા પર ઉતરી છે.
મહિલાઓની એક જ માંગ છે કે પાણી આપો. પાલનપુર પંથકમાં સિંચાઈનું પાણી નથી અને હવે પીવાના પાણીની પણ તકલીફ ઊભી થઈ છે. જેથી હવે પશુપાલન માટે પણ હવે પાણી નથી. સરકાર ખેડૂતોની સમસ્યાને વાચા આપી પાણીની વ્યવસ્થા કરે. જાે સરકાર તેમની માંગ નહીં સ્વીકારે તો આગામી સમયમાં આનાથી પણ ઉગ્ર આંદોલન થશે. અને મહિલા પશુપાલકો અને ખેડૂતો પોતાના પશુઓ સાથે સરકારી કચેરીએ આવશે અને તેનો ઘેરાવો કરશે, જેની જવાબદારી સરકારની રહેશે.
જરૂર પડશે તો ગાંધીનગર પહોંચી ઉગ્ર આંદોલન કરવાની મહિલાઓએ ચીમકી ઉચ્ચારી છે.
પશુપાલક મહિલા હીનાબેન ચૌધરીએ જણાવ્યું કે, સરકાર અમને પાણી આપે જાે નહિ આપે તો અમે અમારા પશુઓ સાથે સરકારી કચેરી આવીશું અને ઉગ્ર આંદોલન કરીશું. પાણી વગર ખેતી તો થતી નથી, પણ હવે અમારા પશુઓ માટે પાણી નથી. અમારે કેવી રીતે જીવવું અમને કોઈપણ ભોગે પાણી આપવામાં આવે.