Gujarat News : રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ટમાં (Racecourse Ground) લોકમેળાની શરૂઆત થઈ ચૂકી છે. સૌરાષ્ટ્રભરમાં મેળાનો રંગ જામ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળા એવા રાજકોટના લોકમેળાનો (Rajkot Lok Mela) આજથી સુભારંભ થઈ ચૂક્યો છે. મંત્રી મુળુભાઈ બેરાના (Mulobhai Bera) હસ્તે મેળાનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે આ ભવ્ય લોકમેળો યોજાઈ રહ્યો છે. 5 દિવસ સુધી ચાલનારા આ મેળામાં વહીવટી તંત્ર દ્વારા રાઈડ્સના ચેકિંગથી લઈને સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે.
પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં DCP, ACP, PI, PSI સહિત 1300 પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. મેળામાં કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે ડ઼ોગ સ્કવોડ અને બોમ્બ સ્કવોડની ટીમ પણ તૈનાત રખાશે. ચોરી જેવા બનાવોથી લઈને મહિલાઓની સુરક્ષા સહિતની તમામ બાબતોની વ્યવસ્થા કરવામાં આવી છે.
મેળામાં 48 નાની યાત્રિક રાઈડ અને 44 મોટી રાઈડ
લોકમેળામાં કુલ 355 સ્ટોલ અને પ્લોટની ફાળવણી કરવામાં આવી છે. જેમાં રમકડાના 178 સ્ટોલ,ખાણીપીણીના 14 સ્ટોલ,નાની ચકરડીના 48 પ્લોટ,મોટી રાઇડઝના 44,ખાણીપીણીના 37 સ્ટોલ,આઈસ્ક્રીમના 16 સ્ટોલ,ફૂડ કોર્ટના 3 પ્લોટ અને 1 પ્લોટ ટી કોર્નર માટે ફાળવવામાં આવ્યા છે.આ ઉપરાંત લોકોના મનોરંજન માટે સાંસ્કૃતિક કાર્યક્રમ માટે એક આકર્ષક ડોમ પણ બનાવવામાં આવ્યો છે. જેમાં પાંચેય દિવસ અલગ અલગ ખ્યાતનામ કલાકારો લોકોનું મનોરંજન કરશે.
પાંચ દિવસીય લોકમેળાનું આયોજન
આજથી શરૂ થયેલા પાંચ દિવસીય લોકમેળામાં ધંધો રોજગાર કરવા માટે 355 સ્ટોલ અને પ્લોટની પણ ફાળવણી કરવામાં આવી છે. આ લોકમેળો સમગ્ર સૌરાષ્ટ્રની શાન છે. આ મેળાની મજા માણવા માટે સૌરાષ્ટ્રભરના લોકો અહીં ઉમટી પડે છે. આ મેળાની રાઈડ અને ડેકોરેશન સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર છે. ત્યારે લોકમેળાનો પ્રારંભ થતા જ લોકો ફેસ્ટીવલ મૂડમાં આવી ગયા છે.