ગુજરાતના રસ્તાઓ પર વાહનોની જેમ ઢોરો પણ સડસડાટ દોડે છે. આ ઢોર એવા સડસડાટ દોડે કે લોકોનો જીવ લઈ લે છે. રંગીલા રાજકોટમાં રખડતા ઢોરોનો આતંક એટલો વધી ગયો છે કે, ૨૪ કલાકમાં ખૂંટિયાના આંતકથી એકનું મોત નિપજ્યુ છે, તો ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે. રાજકોટમાં રખડતા ઢોરોનો આતંક વધી રહ્યો છે. ગઈકાલે રાજકોટમાં રાત્રિના સમયે મવડી વિસ્તારમાં વિશ્વેશ્વર મહાદેવ મંદિર પાસે બે આખલા લડતા લડતા બાઇક પર પડતા એક વૃદ્ધનું મોત નિપજ્યું હતું. મવડી શાકમાર્કેટમાં ખૂંટિયાનો આંતક વધી ગયો છે.
બાઈક પર જતાં બે શખ્સોને રખડતા ઢોરે અડફેટે લીધા હતા. વિશ્વેશ્વર મહાદેવ મંદિર પાસે બાઇકને અડફેટે લેતા વીનું મકવાણા નામના વૃદ્ધનું મોત નિપજ્યુ છે. તો કમલભાઈ નામના યુવકને ઇજા પહોંચી છે.આજે રૈયાધાર સ્લમ ક્વાર્ટર પાસે કેસરબેન મુછડિયા અને ભાણીબેન મુછડિયા નામની બે મહિલાઓ ઉભી હતી. તે સમયે અચાનક બે આખલા ત્યાં આવી ચઢ્યા હતા. બંને આખલાઓએ મળીને મહિલાઓ પર હુમલો કર્યો હતો, અને તેમને જમીન પર પટકી હતી.
આખલાના હુમલાથી બંને મહિલાઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બની છે. બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આખલાના વધી રહેલા ત્રાસ વચ્ચે રાજકોટની જનતા એક જ સવાલ પૂછે છે કે મેયર ક્યાં છે. આખરે કેમ રાજકોટ પાલિકાદ્વારા રખડતા ઢોર મુદ્દે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી રહી. રાજકોટવાસીઓ એક જ સવાલ કરી રહ્યા છે કે, આખરે ક્યારે રખડતા ઢોરોને પકડવામાં આવશે.
રાજકોટમાં માલધારી સમાજની એનિમલ હોસ્ટેલ બનાવવાની માંગ ઘણા સમયથી પેન્ડિંગ છે, જેનો કોઈ નિવેડો આવતો નથી. રાજકોટમાં અંદાજીત ૩૫ હજાર કરતા વધુ ઢોર છે. જેમાં ઢોર ડબ્બાની કેપેસિટી માત્ર ૫૦૦૦ ઢોર રાખવાની છે. ઢોર પકડ પાર્ટી દુઝણી ગાયો લઈ જાય છે, તો ખૂંટિયા કેમ નહિ તેવુ માલધારી આગેવાનોનું કહેવુ છે. તેઓએ કહ્યુ કે, માલધારી સમાજ ખૂંટિયાને પકડવા સાથ આપે છતાં નથી પકડવામાં આવતા. ઘર પાસે બાંધેલી ગાય પકડી જાય, નુકસાન ગાય નહિ ખૂંટિયા કરે છે.