ગોંડલની એક ખુબ જ દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. ગોંડલના સંત 1008 મહામંડલેશ્વર હરિચરણદાસજી મહારાજ બ્રહ્મલીન થયા છે. એપ્રિલ 2020ની જો વાત કરીએ તો હરિચરણદાસ બાપુની તબિયત લથડી હતી. હરિચરણદાસ બાપુનું હીમોગ્લોબિન લેવલ ઓછું થઈ જતાં તેમને ઓક્સિજન પર રાખવામાં આવ્યા હોવાની પણ માહિતી મળી હતી. ગોંડલની રામ હોસ્પિટલના ડોક્ટરોએ બાપુના જ રૂમમાં તમામ સારવાર આપી સ્વસ્થ કર્યા હતા તેમજ 2 ફેબ્રુઆરી 2020માં હરિચરણદાસ બાપુ અયોધ્યામાં બાથરૂમમાં પડી ગયા હતા અને ત્યારે પણ થાપામાં ફ્રેક્ચર થયું. ત્યારે હવે બાપુના દેવલોકગમનથી હજારો ભક્તોમાં શોકનું મોજું જોવા મળી રહ્યું છે. મોટી સંખ્યામાં ગુરુભાઈઓ સહિત તેમના ભક્તો દર્શન માટે ઊમટી પડ્યા છે. હાલ ક્રિકેટર ચેતેશ્વર પૂજારા પોતાના પરિવાર સાથે તેમના ગુરુદેવના અંતિમ દર્શન માટે આવી પહોંચ્યા હોવાનું પણ સામે આવ્યું છે. કારણ કે પૂજારા તેમને ગુરુ માનતા હતા.
હરિચરણદાસજી વિશે વિગતો મળી રહી છે કે 100 વર્ષની ઉંમરે સવારે 4 વાગ્યા આસપાસ અંતિમ શ્વાસ લીધા હતા. સવારે 8 વાગ્યાથી તેમના પાર્થિવદેહને મંદિરમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે. ત્યાર બાદ ગોરા આશ્રમમાં લઇ જવામાં આવશે, જ્યાં આવતીકાલે સવારે અંતિમ વિધિ કરવામાં આવશે.
સૌકોઈ જાણે છે કે ક્રિકેટર ચેતેશ્વર પૂજારા ગોંડલ રામજી મંદિરના મહંત એવા હરિચરણદાસ બાપુમાં કેટલી શ્રદ્ધા અને આસ્થા રાખે છે. પુજારા જ્યારે પણ ટીમ ઇન્ડિયા માટે રમવા જાય ત્યારે તે સૌપ્રથમ સિરીઝની શરૂઆત થતાં પહેલાં પરિવાર સાથે જઈ હરિચરણદાસ બાપુના આશીર્વાદ જરૂર લે છે એવું પણ માનવામાં આવે છે. ન માત્ર એટલું જ પણ પોતાનો જન્મદિવસ હોય કે પોતાની પત્નીનો જન્મદિવસ હોય કે પછી પોતાની લગ્નની વર્ષગાંઠ હોય કે પછી ગુરુ પૂર્ણિમા, આ દરેક તહેવારો અને ઉત્સવો ચેતેશ્વર પૂજારા હરિચરણદાસ બાપુના સાનિધ્યમાં જ મનાવે છે.
જો બાપુના ઈતિહાસ વિશે થોડી વાત કરીએ તો બાપુનું મૂળનામ હરિશ્ચંદ્ર મિસરાજ હતું. ઇસવીસન 1921માં ચૈત્ર સુદ 6ના દિવસે બિહારના પંજરવામાં તેમનો જન્મ. ત્યાર બાદ 1955માં ગુરુદેવ રણછોડદાસજીની આજ્ઞાથી ગોંડલમાં આશ્રમનું સંચાલન શરૂ કર્યું હતું. છેલ્લાં 70 વર્ષથી તેઓ અહીં રહી સેવા કરી રહ્યા છે. 34 વર્ષની યુવાન વયે બાપુએ આશ્રમનું સંચાલન હાથમાં લીધું હતું. સાથે જ ગોંડલમાં રહીને બાપુએ અનેક સેવાકીય કાર્યો કર્યા હતા, જેમાં ગોંડલમાં રામજી મંદિર બંધાવ્યું હતું. ત્યાર બાદ રામ સાર્વજમિક હોસ્પિટલની પણ સ્થાપના કરી હતી. પાંડુકેશ્વર, ઋષિકેશ, ઇન્દોર, કર્ણપ્રયાગ, બનારસ, ગોરા નર્મદા તટે સાધન-ભજન અને માનવસેવાની જ્યોત જલાવી એ પણ આ દુનિયા ક્યારેય નહીં ભૂલે.