વિપક્ષનો અવાજ જેટલો મજબૂત એટલી લોકશાહી પણ મજબૂત, પરંતુ ભાજપના રાજમાં નેતાઓ ઉપરાંત ખુશામતખોર સરકારી તંત્ર પણ વિપક્ષનો અવાજ દબાવી દેવા કઇ હદે જઈ શકે છે તે રાજકોટમાં આપની આજની સભા પૂર્વે બહાર આવ્યું છે. બન્યું એવું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ૧૧ તારીખે શાસ્ત્રી મેદાનમાં જાહેર સભા સંબોધવાના હોવાથી આપના સ્થાનિક આગેવાનોએ કલેકટર તંત્ર પાસેથી મેદાન ભાડે માગ્યું હતું.
જે સાથે જ એવી અરજી પણ આપવી પડી કે મેદાન હાલ કાટમાળની ભરતીથી છલકાઈ રહ્યું હોવાથી તંત્ર તે સાફ કરાવી આપે. મહા પાલિકા આ મેદાન મહેસુલ તંત્રની માલિકીનું હોવાનો કક્કો ઘૂંટતિ આવી છે, તો મહેસુલ તંત્ર એવુ રટણ કરી રહ્યું છે કે સફાઈની જવાબદારી તો મહાપાલિકાની જ હોય. કલેકટર કચેરીની સંબંધિત શાખાએ અરજી સિટી ૧ પ્રાંત અધિકારીને મોકલી દઈ જવાબદારી પૂરી ધારી લીધી.
પ્રાંત અધિકારી ચૌધરીએ ગત બુધવારે જ એક વાતચીતમાં કહી દીધું હતું કે મેદાનમાં ભરતી ઠલવાતી હોવા વિશે મને કોઈ માહિતી નથી. કલેકટર અરુણ મહેશ બાબુએ કોણ ભરતી નાખે છે તે વિશે તપાસ કરાવવા ખાતરી ઉચ્ચારી હતી પણ તેનું શું થયું એ તો એ જ જાણે! દરમિયાન, ચાર દિવસ રાહ જાેઈને તંત્રના અસહકારથી ત્રસ્ત આપના કાર્યકરોએ પોતાના ખર્ચે જે.સી.બી., ટ્રેકટર અને રોલર દોડાવી મેદાન સાફ કરાવ્યું, સમથળ કરાવ્યું અને મલબો ઉપડવવો પડ્યો.
હવે જ્યારે મુખ્યમંત્રી રાજકોટ આવી રહ્યા છે ત્યારે અગાઉ અનેક વખત બનતું આવ્યું છે તેમ આ જ તંત્ર હેલિપેડથી માંડીને રસ્તા સાફ સફાઈ અને કદાચ એ.સી. ડોમ પણ સરકારના (પ્રજાના) ખર્ચે બનાવડવવા પોતે જ દોટ મૂકશે પણ વિપક્ષોએ એક મેદાન પણ જાતે સાફ કરાવવું પડે છે! પાંચ પ્રશ્ન અનુત્તર રહે છે.
(૧) વિપક્ષની સભા પહેલાં ખરેખર મેદાનમાં ભરતી ઠાલવી કોણે, કોનાં ઇશારે અને કોની પરવાનગીથી? (૨) સરકારી મેદાનમાં જેમ કાટમાળ ઠલવાઈ જાય તો પણ કોઈ કહેનાર નથી તેમ કોઈ બારોબાર સફાઈ કે લેવલીંગ પણ પોતાની રીતે કરાવી નાખે ત્યારે પણ સરકારી તંત્ર આંખ આડા કાન જ કરતું રહી શકે? (૩)તો તો કાલે ઉઠીને જેણે જેમ ઉપયોગ કરવો હોય તેમ કરતા નહિ થઈ જાય? (૪) જાે આ જ રેઢા પડ જેવી સ્થિતિ હોય તો તો મેદાન ભાડે માગવાની કે મંજૂરી લેવાની આવશ્યકતા જ શું? (૫) આ મેદાનના રખરખાવ બાબત પણ રાજકારણ વચ્ચે આવે છે તે અમલદારો જાણે જ છે તો શું રાજકોટવાસીઓએ માત્ર જાેઈને દુઃખી જ થતાં રહેવાનું?