રાજકોટમા ભૂમાફિયાઓની ખુલ્લેઆમ દદાગીરી સામે આવી છે. શહેરના યુનિવર્સિટી રોડ પર રાધાકૃષ્ણ સોસાયટીમાં મકાન ઓછી કિંમતે વેચવા એક પરિવારને 5 ભૂમાફિયાઓ દબાણ કરી રહ્યા હતા. ચાર દિવસ પહેલાં ભૂમાફિયા નશાની હાલતમાં તેમના ઘરે રાત્રે ધસી આવ્યા અને સોસાયટીમાં ગાડીના કાચ તોડી સ્થાનિકો પર પથ્થરમારો પણ કર્યો જેમા અવિનાશ ધુલેશિયા નામના કારખાનેદારને માથામા ગંભીર ઇજા થઈ ગતી.
આ બાદ તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા જ્યા ગત રાત્રે તેમનુ મોત થયુ છે. હવે પરિવાર આ મોતને હત્યા કહી રહ્યો છે અને મોટી સંખ્યામાં પરિવારજનો સિવિલ હોસ્પિટલ જઈને મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. આ દરમિયાન એક મહિલા હૈયાફાટ રુદનથી બેભાન થઈ ગઈ ક હ્હે જેને હવે હોસ્પિટલ લઈ જવામા આવી છે.
બીજી તરફ પોલીસની કામગીરી પર સવાલ કરતા પરિવારની એક મહિલાએ કહ્યુ કે અમે હવે થાકી ગયા, પોલીસ બંગડીઓ પહેરી લો. સીપી સાહેબ ક્યાં ગયા, આવો અહીં. જવાબદારો સામે કાર્યવાહી કરો. અવિનાશભાઈએ કોઈ દિવસ માખી પણ મારી નથી, આ હુમલામાં નિર્દોષ હણાયા છે.
મળતી માહિતી મુજબ માત્ર પરિવાર જ નહી પણ સોસાયટીના રહીશો પણ આ ઘટના બાદ ન્યાયની માગ માટે સિવિલ હોસ્પિટલમાં ધરણાં પર બેસી ગયા છે. હવે આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે મૃતકના પુત્ર બ્રિજેશે કહ્યુ કે આરોપીઓ સામે કડક કાર્યવાહી ન થાય ત્યા સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે. રાજકોટ પોલીસ પર ભરોસો નથી.
આ સાથે બ્રિજેશે એ વાતની પણ માંગ કરી છે કે આ કેસથી વાકેફ ન હોય તેવા તટસ્થ અધિકારીઓ દ્વારા તપાસ થવી જોઈએ. ચાર વર્ષમાં 15 કરતાં વધુ અરજીઓ કરવામાં આવી પણ પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી. આ બાદ CCTVના આધારે હત્યા કલમ ઉમેરી ગુનો નોંધી ચાર આરોપીની ધરપકડ કરી લેવામા આવી છે.
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ દ્વારા રવિ વાઢેર, હિરેન વાઢેર, વિજય રાઠોડ અને પરેશ ચૌહાણ નામના ચાર આરોપીની ધરપકડ કરી હત્યાની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ આરોપીઓ રિમાન્ડ પર પોલીસ કસ્ટડીમાં છે. જ્યારે ભરત સોશા ઉર્ફે ભૂરો, મયૂરસિંહ જાડેજા અને અમિત ભણાવડિયા સામે પણ ગુનો નોંધાયો છે.