આજે હનુમાન જયંતિ છે ત્યારે ભક્તોની ભીડ સવારથી જ અલગ અલગ આસ્થાના કેન્દ્રો પર જોવા મળી રહી છે. એવામાં સમાચાર સામે આવી રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ આજે હનુમાન જયંતિના અવસર પર મોરબીમાં ભગવાન હનુમાનજીની 108 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું અને જેની હાલમાં ન માત્ર ગુજરાત પણ આખા દેશમાં ચર્ચા કરવામાં આવી રહી છે. વડાપ્રધાન કાર્યાલય (PMO) એ શુક્રવારે સત્તાવાર નિવેદનમાં આ અંગે માહિતી આપી હતી.
આ સાથે વિગતો મળી રહી છે કે ભગવાન હનુમાન સાથે સંબંધિત ચાર ધામ પ્રોજેક્ટ હેઠળ હનુમાનની મૂર્તિ દેશની ચારેય દિશામાં સ્થાપિત કરવામાં આવશે. આ જ રીતે હનુમાનજીની આ બીજી મૂર્તિ હશે જે પશ્ચિમ દિશામાં હશે. તેની સ્થાપના વિશે વાત કરવામાં આવે તો મોરબીના બાપુ કેશવાનંદ આશ્રમમાં કરવામાં આવી છે. આ શ્રેણીની પ્રથમ મૂર્તિ વર્ષ 2010માં ઉત્તર દિશામાં એટલે કે શિમલામાં સ્થાપિત કરવામાં આવી હતી.
આ જ અરસામાં PMOએ આગળ વાત કરી કે આ મૂર્તિ દક્ષિણ દિશામાં રામેશ્વરમમાં સ્થાપિત થવાની છે અને તેનું કામ પણ શરૂ થઈ ગયું છે. પીએમ મોદીએ પણ આ પ્રસંગે એક ટ્વીટ કરી હતી અને લખ્યું, ‘આજે હનુમાન જયંતિ છે. આ વિશેષ પ્રસંગે મોરબીમાં સવારે 11 કલાકે હનુમાનજીની 108 ફૂટની પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવશે. વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ કાર્યક્રમનો ભાગ બનવાની તક મળી તે માટે હું સન્માનિત છું. ઉલ્લેખનીય છે કે મોરબીમાં વિશાળ મૂર્તિ બનાવવાનું કામ 2018માં શરૂ થયું હતું. કહેવાય છે કે તેની કિંમત 10 કરોડ રૂપિયા છે.