ભરઉનાળે હવામાન વિભાગે વરસાદની આગાહી કરતા જગતનો તાત ચિંતામા મુકાયો છે. આગાહીમા કહેવામા આવ્યુ છે કે સૌરાષ્ટ્રમાં 20 અને 21 એપ્રિલ પવન સાથે વરસાદ પડી શકે છે. આ બાદ આજે વહેલી સવારે રાજકોટમાં ઘટાટોપ વાદળો છવાતેલા પણ જોવા મળ્યા અને અમુક વિસ્તારોમાં છાંટા પણ પડ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. બીજી તરફ માર્કેટ યાર્ડમાં ઘઉં, ચણા, લસણ, મગફળી, કપાસ જેવા ખેડૂતોના પાક ખુલ્લા પડ્યા છે જે હવે ચિંતાનો વિષય બન્યો છે.
ગોંડલમાં અમીછાંટણાં થતાં યાર્ડમાં ડુંગળી, મગફળી, ચણા અને મરચાની બે દિવસ આવક બંધ કરવાની ફરજ પડી છે. બીજી તરફ ખેડૂતોને યાર્ડમા ખુલ્લામાં તૈયાર પાક ન ઉતારવા સૂચના આપવામાં આવી છે.
આ સિવાય જસદણ પંથકમાં આજે વહેલી સવારથી વાતાવરણમા પલાટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ 20 એપ્રિલે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, મહેસાણા, વડોદરા, ભરૂચ અને દાહોદ જિલ્લામાં કમોસમી વરસાદ થવાની શકયતાઓ છે.