Business News: ભારતીય રિઝર્વ બેંક (RBI) એ કહ્યું છે કે ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવેલી રૂ. 2,000ની નોટો પોસ્ટ ઓફિસની મદદથી પણ બદલી શકાશે. લોકો તેમના બેંક ખાતામાં રકમ મેળવવા માટે કોઈપણ પોસ્ટ ઓફિસમાંથી રૂ. 2,000 ની નોટો મોકલી શકે છે, એમ રિઝર્વ બેંકે તેની વેબસાઈટ પર ‘ફ્રિક્વન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન્સ’ (FAQs)ના સમૂહમાં જણાવ્યું છે.
આ માટે લોકોએ ઓનલાઈન ઉપલબ્ધ એક અરજી ફોર્મ ભરવાનું રહેશે અને ભારતીય પોસ્ટની કોઈપણ સુવિધા દ્વારા RBI ઓફિસને નોટો મોકલવી પડશે. આ ફોર્મ આરબીઆઈની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. વાસ્તવમાં લોકો હજુ પણ 2,000 રૂપિયાની નોટ બદલવા માટે આરબીઆઈની પ્રાદેશિક કચેરીઓમાં કતારોમાં ઉભા છે.
આરબીઆઈના FAQ મુજબ વ્યક્તિ પોસ્ટ ઓફિસની સુવિધાઓ સાથે રિઝર્વ બેંકની 19 ઓફિસોમાં એક સમયે 20,000 રૂપિયાની મર્યાદા સુધીની નોટો બદલી અથવા જમા કરી શકે છે. RBIએ ગયા વર્ષે મે મહિનામાં રૂ. 2,000ની નોટો પાછી ખેંચવાનો નિર્ણય જાહેર કર્યો હતો. નવેમ્બર 2016માં નોટબંધી વખતે પહેલીવાર આ નોટ જારી કરવામાં આવી હતી.
આરબીઆઈએ કહ્યું હતું કે રૂ. 2,000ની નોટો પાછી ખેંચવાનો નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો હતો કારણ કે આમાંની મોટાભાગની નોટોએ તેમનું અપેક્ષિત આયુષ્ય પૂર્ણ કરી લીધું છે અને લોકો પણ તેનો વ્યવહારમાં વધુ ઉપયોગ કરી રહ્યા નથી. મે 2023 સુધીમાં ચલણમાં રહેલી રૂ. 2,000 મૂલ્યની 97.38 ટકાથી વધુ નોટો પાછી ખેંચી લેવામાં આવી છે. જો કે બેંક શાખાઓમાં હવે આ નોટો બદલવા અથવા જમા કરાવવાની મંજૂરી નથી, RBIએ વૈકલ્પિક માધ્યમો પ્રદાન કર્યા છે.