ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકાર 2.0 ની આજે શપથવિધિ યોજાઇ હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંતી અમિત શાહ, ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથ અને હરિયાણાના CM મનોહરલાલ ખટ્ટર તેમજ ગોવાના CM પ્રમોદ સાવંત, કર્ણાટકના CM બસવરાજ બોમાઈ, મધ્ય પ્રદેશના અને મહારાષ્ટ્રના CM તેમજ ઉત્તરાખંડના CM પુષ્કરસિંહ ધામી પણ શપથવિધિમાં હાજર રહ્યા હતા. ગુજરાતના 18માં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે આજે શપથગ્રહણ કર્યા છે. ભૂપેન્દ્ર પટેલની સાથે કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા છે. જોકે હવે આજે સાંજે નવા મંત્રીમંડળના સભ્યોને ખાતાઓની વહેંચણી કરવામાં આવશે. ત્યારે રાઘવજી પટેલનું નામ પણ કેબિનેટ મંત્રીમાં છે. તો આવો જાણી રાઘવજી પટેલનું રિપોર્ટ કાર્ડ
ગાંધીનગરમાં આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની નવી સરકાર બીજી વખત શપથ ગ્રહણ કરશે. ત્યારે આ સરકારમાં જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલનો પણ સમાવેશ કરાયો છે. એટલે તેઓ પણ અહીં શપથ લેશે. ત્યારે આવો નજર કરીએ તેમની રાજકીય કારકિર્દી પર.
જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલ વર્ષ 2019માં પેટાચૂંટણી જીત્યા હતા. ત્યારબાદ તેમનો સમાવેશ કેબિનેટ પ્રધાનમાં કરાયો હતો. ભૂપેન્દ્ર પટેલની સરકારમાં તેઓ કૃષિ પ્રધાન રહી ચૂક્યા છે. તેમને પશુપાલન ગોવર્ધન વિભાગોની ફાળવણી કરવામાં આવી હતી. મહત્વનું છે કે, રાઘવજી પટેલે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત તો કૉંગ્રેસથી કરી હતી, પરંતુ હવે તેઓ ભાજપ સરકારના પસંદગીના પ્રધાન બની ગયા છે. તેઓ અગાઉ શંકરસિંહ વાઘેલાની રાજપા સરકારમાં કેબિનેટ પ્રધાન પણ રહી ચૂક્યા છે. વર્ષ 1975થી 1982 દરમિયાન ધ્રોલ તાલુકા યૂથ કૉંગ્રેસના પ્રમુખ રહ્યા હતા. બાદમાં જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાયા બાદ વર્ષ 1985માં કાલાવડ બેઠક પર ભાજપના કેશુભાઈ પટેલ સામે વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. વર્ષ 1990 અને 1995માં કાલાવડ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.
આપને જણાવી દઈએ કે, તેઓ અગાઉ શંકરસિંહ વાઘેલા અને દિલીપ પરીખની સરકારમાં કેબિનેટ પ્રધાનનું પદ સંભાળી ચૂક્યા છે. ત્યારબાદ તેઓ કૉંગ્રેસમાં જોડાયા હતા ને વર્ષ 2007માં જોડિયા બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. વર્ષ 2017માં જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પર રાઘવજી પટેલની હાર થઈ હતી. જોકે, પેટાચૂંટણીમાં ફરી તેને ટિકિટ મળતા તેઓ અહીં જીત્યા હતા. હવે તેમને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં કેબિનેટ પ્રધાન તરીકે સ્થાન અપાયું છે. ગુજરાતની 182 વિધાનસભા બેઠક પૈકીની એક જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક 77મા ક્રમની બેઠક છે. જામનગર ગ્રામ્ય વિધાનસભા મતવિસ્તાર જામનગર લોકસભા મતવિસ્તાર હેઠળ આવે છે. જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક ઉપર કુલ 1,22,045 પુરુષ મતદાર અને 1,11,543 મહિલા મતદારો મળી કુલ 2,31,588 મતદારોનો સમાવેશ થાય છે.
આ બેઠક પર સૌથી વધુ મુસ્લિમ અને ત્યારબાદ લેવા અને કડવા પટેલ મતદારોની સંખ્યા છે. મુસ્લિમ સમાજના મતદારો 18.42 ટકા લેઉવા પટેલના મતદારો 13.98 ટકા કડવા પટેલના 9.19 ટકા ક્ષત્રિય સમાજના 9.14 ટકા અને એસસી એસટી મતદારો 9.1 ટકા છે. જામનગર બેઠક પર જ્ઞાતિ જાતિના સમીકરણોનો ખૂબ પ્રભાવ રહ્યો છે. વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપને એક લાખ 75 હજાર જેટલા મતોની જંગી લીડ મળી હતી. તો વર્ષ 2017 ની વિધાનસભાની ચૂંટણી આવતા ગુજરાતના રાજકીય સમીકરણો બદલાઈ ગયા હતાં. નાણાંકીય વર્ષ 2021-22 અને 2022-23 માં ભારે વરસાદ અને પુરને કારણે ખેડૂતોને પાક નુકશાન થયેલ હતું. શ્રી રાઘવજી પટેલે ખેડૂતોને પાક નુકશાનમાં રાહત આપવા માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ખેડૂતોના હિતમાં નિર્ણય લેતાં અલગ અલગ કૃષિ રાહત પેકેજ જાહેર કરેલ હતાં. તે દરમ્યાન કુલ 24,93,932 ખેડૂતોને રૂપિયા 3,725 કરોડ જેટલી માતબર રકમની ચુકવણી કૃષિ રાહત પેકેજ અંતર્ગત સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાવેલ હતી.
રાજયના પશુધનમાં લમ્પી વાયરસ ફેલાયો ત્યારે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ શ્રી રાઘવજી પટેલે રૂબરૂ સ્થળ મુલાકાતો, નિયમિત સમીક્ષા બેઠકો કરી સતત માર્ગદર્શન આપી યુદ્ધના ધોરણે કામગીરી કરાવી રાજયના પશુધનને આ રોગમાંથી મુક્તિ અપાવેલ છે. આ અભિયાનમાં રાજયના કુલ 63,19,005 પશુઓનું રસીકરણ કરવામાં આવેલ. જે રાજયના ગૌવંશના 95 ટકા જેટલું થાય છે. લમ્પીથી અસરગ્રસ્ત થયેલ કુલ 1,76,094 પશુઓ પૈકી 96 ટકા એટલે કે 1,69,901 પશુઓ સ્વસ્થ થઇ ગયેલ છે. જે એક પશુપાલન મંત્રીની રાજયના પશુધન પ્રત્યેની સંવેદનીશલતા અને જવાબદારીની ભાવનાને ચરિતાર્થ કરે છે. સૌના કલ્યાણને જીવનનો મુદ્રાલેખ બનાવી સતત પરિશ્રમથીશ્રી રાઘવજી પટેલ એટલે જ નવો ચીલો ચાતરી કૃષિ મંત્રી બીજી વખત જીતતા નથી તેવી ગેર માન્યતાને જંગી બહુમતીથી જીત મેળવીને ખોટી ઠેરવશે. પોતાની આ સફળતાનો શ્રેય શ્રી રાઘવજી પટેલ, પોતાના જામનગર ગ્રામ્યના મતદારો તથા રાજ્યના ખેડૂતોની તેમના પ્રત્યેની ચાહનાને આપે છે.