Ahmedabad News: આગામી તારીખ 26 જાન્યુઆરી 2024ના રોજ જિલ્લા કક્ષાના ગણતંત્ર દિવસની ઉજવણી અમદાવાદ જિલ્લાના વિરમગામની એમ.જે. હાઇસ્કુલ ખાતે થશે. રાજ્યના ઉદ્યોગ તથા શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને ગણતંત્ર દિવસનો કાર્યક્રમ યોજાશે.
જેમાં ધ્વજવંદન અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆત કરવામાં આવશે. સાથોસાથ પીએમ આવાસ યોજના, સર્વ શિક્ષા અભિયાન, આયુષ્યમાન ભારત, પ્રાકૃતિક કૃષિ, સૌરઉર્જા સહિતની થિમના ટેબ્લો આકર્ષણ જમાવશે.
જિલ્લા કક્ષાની ઉજવણીના સુચારુ આયોજન અને વ્યવસ્થાઓ સંદર્ભે અમદાવાદ જિલ્લા કલેકટર કલેકટર પ્રવીણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને વિરમગામ તાલુકા સેવા સદન ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં કલેકટરએ કામગીરીની સોંપણી તેમજ કાર્યપ્રગતિ વિશે જાણકારી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા.
આજની બેઠકમાં અમદાવાદના જિલ્લા વિકાસ અધિકારી એમ.કે.દવે, અધિક નિવાસી કલેકટર સુધીર પટેલ તથા જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.