હાર્દિક પટેલના ભાજપમાં જોડાવા પર અલગ અલગ નેતાઓ અને રાજકીય લોકો નિવેદન આપી રહ્યા છે. ત્યારે હવે રેશમા પટેલ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી કે કે મૃતકોના પરિવારજનોને અમે ફોન પણ નથી કરી શકતા. તેઓને પૈસા આપવાથી કશું નહીં થાય. અમે ફોન પર વાત નથી કરી શકતા કારણ કે તેઓ સમજે છે કે અમારા કારણે તેમના દીકરાઓ શહીદ થયા. આગળ રેશમા પટેલે કહ્યું હતું કે હું સ્વીકારું છું, પાટીદાર આંદોલનના અમે બધા જ ફેલ છીએ, શહીદના પરિવારને ફોન કરીને પણ શું કરીએ? અમે આગેવાની લઈને નીકળ્યા હતા પણ હવે સમાજ સાથે અન્યાય થયો છે અને એ ભાજપે કર્યો છે. ભાજપે આગેવાનોની હાજરીમાં આપેલ વચનો પૂરા કર્યા નથી.
સાથે જ વિગતો મળી રહી છે કે રેશમા પટેલે કહ્યું કે હાર્દિકભાઈ પોતે વ્યક્તિગત સ્વાર્થ માટે સમાજ સાથે અન્યાય કર્યો છે. તેઓ ખરાબ પોલિટીક્સ કરી રહ્યા છે. તેણે સાચા આંદોલનને ખોટા રસ્તે લઈ જઈને સમાજ સાથે ખોટું કર્યું છે. અમે ઘણી વખત તેને ખુલ્લો પાડવાની ટ્રાય કરી પણ અમે હાર્દિકની સામે નાના પડતાં હતા. તેને કોંગ્રેસમાં સ્વાર્થ લાગ્યો તો ત્યાં જોડાયા પણ ત્યાં પણ સ્વાર્થ ન પૂરો થયો તો જે થાળીમાં ખાધું તેમાં જ થૂંકી દીધું. રેશમા પટેલ આંદોલનમાં શહીદ થયેલ યુવાનોની વાત કરતાં તેઓ ભાવુક થઈને રડી પડ્યા હતા.
રેશમા બેન એવું પણ બોલ્યા કે ભાજપે પોતાના વાયદા ક્યારેય પૂરા કર્યા નથી. તેમણે 2017 ના વાયદા પૂરા કર્યા નથી. શહીદોના ઘરના લોકોને પરિવારજનોને નોકરી મળતી નથી અને હાર્દિક પટેલના જોડાયા પછી ભાજપ તેને પણ દગો આપશે તેવો મને વિશ્વાસ છે. હાર્દિક પોતે સિંહ હોવાની વાતો કરતાં હતા પણ આજે તેમણે સાબિત કરી દીધું છે કે તેઓ સિંહ નહીં પણ ખિસકોલી છે. આ રીતે રેશમા પટેલે પણ હાર્દિકની ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે પાટીદાર સાથે આ ખુબ ખોટું થયું છે.