હિંમતનગરના નિવૃત શિક્ષકે ‘નામ કરતા કામનું મહત્વ’ કહેવતને સાર્થક કરી છે. ચિત્રોડાના નિવૃત શિક્ષક રામાભાઈ સુતરિયાએ પ્રાથમિક શાળા માટે પાંચ પ્લોટ દાનમાં આપ્યા છે. જિલ્લાની ૪૦૦ જેટલી શાળામાં મેદાન નથી ત્યારે બાળકોના ભવિષ્ય માટે ગુરૂએ શાળાને પ્લોટરૂપી દાન અર્પણ કર્યું છે. નિવૃત શિક્ષક રામાભાઈ સુતરિયાનું કહેવું છે કે, કોઈપણ પ્રકારની પ્રતિષ્ઠા મેળવવાની તેમની કોઈ જીજીવિષા નથી. પરંતુ આ શાળામાં ભણતા બાળકો ભવિષ્યમાં જાે સારા રમતવીર બનશે તો તેમનું દાન લેખે લાગશે.
ઉલ્લેખનીય છે કે, સાબરકાંઠા જિલ્લામાં અત્યારે ૧૪૦૦થી વધુ પ્રાથમિક શાળાઓ કાર્યરત છે, જેમાંથી ૪૦૦થી વધુ શાળાઓમાં બાળકો માટે મેદાનની યોગ્ય વ્યવસ્થા પણ નથી. ત્યારે ઈડર તાલુકાના ચિત્રોડા પ્રાથમિક શાળા નંબર-૧માં ફરજ બજાવતા શિક્ષકે નિવૃતિ બાદ ચિત્રોડાની ઉપેન્દ્રનગર વસાહતમાં આવેલી પ્રાથમિક શાળા માટે અંદાજે ૧૫ લાખના પાંચ પ્લોટ દાનમાં આપી દીધા.
મીડિયા રિપોર્ટ અનુસાર પ્રાથમિક સ્કૂલમાં ભણતા બાળકો માટે કેટલીક સગવડોનો અભાવ હોવાની સાથે રમતનું મેદાન પણ નથી. જેના લીધે શારીરિક ગુણોમાં બાળકોને મુશ્કેલીઓ પડે છે. જેથી નિવૃત શિક્ષક રામાભાઈ સુતરિયાએ સ્થિતિ અંગે ગંભીરતાથી વિચાર્યા બાદ પાંચ પ્લોટ પ્રાથમિક શાળાને અર્પણ કરીને નવા રાહ ચીંધ્યો છે. તેમના આ કામને લોકો બિરદાવી રહ્યા છે અને આખા ગામમાં તેમની ખૂબ પ્રશંસા પણ થઈ રહી છે.